મર્જરના વિરોધમાં સરકારી બૅન્કોની ૨૬-૨૭ સપ્ટેમ્બરે હડતાળ
પ્રતીકાત્મક તસવીર
નવી દિલ્હી : (જી.એન.એસ.) સરકારે કરેલાં ૧૦ બૅન્કોના વિલીનીકરણ સામે કર્મચારી સંગઠનો નારાજ થયા છે. તેઓએ ૨ દિવસની દેશવ્યાપી હડતાળનું એલાન કર્યું છે. જેના કારણે અબજોના વ્યવહારો ઠપ થશે. આ સાથે જ ૨ દિવસની રજા પણ જોડાઈ જતી હોવાના કારણે સતત ૪ દિવસ સુધી બૅન્કો બંધ રહેશે અને લોકોને મુશ્કેલી પડી શકે છે.
સરકારે કરેલા ૧૦ બૅન્કોના વિલીનીકરણને લઈને હવે બૅન્કિંગ સેક્ટરના ટ્રેડ યુનિયન વિરોધ પ્રદર્શન કરશે. ૪ ટ્રેડ યુનિયન સંગઠનોએ ૨૫ સપ્ટેમ્બરની અડધી રાતથી ૨૭ સપ્ટેમ્બરની અડધી રાત સુધી હડતાળનું એલાન કર્યુ છે. બૅન્ક કર્મચારીઓની હડતાળના કારણે આ મહિને સતત ૪ દિવસ સુધી બૅન્કો બંધ રહેશે. ૪ દિવસ સુધી સતત બૅન્કો બંધ રહેવાના કારણે અબજોના વ્યવહારો ઠપ થશે.
ADVERTISEMENT
૨૮ સપ્ટેમ્બરે મહિનાનો ચોથો શનિવાર અને ૨૯ સપ્ટેમ્બરે રવિવાર છે. આ પછી બૅન્ક કર્મચારીઓએ નવેમ્બરના બીજા અઠવાડિયાથી અનિશ્ચિતકાલીન હડતાળ પર જવાની ચેતવણી આપી છે. ઉલ્લેખનીય છે કે બૅન્કિંગ સેક્ટરને બુસ્ટ આપવા માટે છેલ્લા કેટલાક દિવસોથી નાણાપ્રધાન નિર્મલા સીતારમણે એકસાથે ૧૦ બૅન્કોના વિલીનીકરણનું એલાન કર્યું હતું. આ વિલય બાદ ૪ નવી બૅન્ક અસ્તિત્વમાં આવશે. એટલે કે ૬ બૅન્કો અન્ય બૅન્કમાં મર્જ થશે.
આ પણ વાંચો : કરીના કપૂરનું નવું ફોટોશૂટ ઉડાવી રહ્યા છે ચાહકોના હોંશ, જુઓ ગ્લેમરસ ફોટોઝ
સરકારે કુલ ૧૦ બૅન્કોના વિલીનીકરણનું એલાન કર્યુ છે. પહેલી પંજાબ નૅશનલ બૅન્ક જેમાં હવે યુનાઈટેડ બૅન્ક ઑફ ઇન્ડિયા અને ઓરિએન્ટલ બૅન્ક પણ સામેલ થશે. અન્ય વિલયમાં કેનેરા બૅન્ક છે જેમાં સિન્ડિકેટ બૅન્ક મર્જ થશે. ત્રીજા વિલયમાં યુનિયન બૅન્ક ઑફ ઇન્ડિયા, આંધ્ર બૅન્ક અને કોર્પોરેશન બૅન્ક એક થશે. ચોથા વિલયની વાત કરીએ તો ઈન્ડિયન બૅન્કમાં ઈલાહાબાદ બૅન્ક સામેલ છે. વિલયની જાહેરાત બાદ હવે દેશમાં ૧૨ પીએસબીએસ બૅન્ક રહેશે. આ પહેલાં ૨૦૧૭માં પબ્લિક સેન્ટરની ૨૭ બૅન્ક હતી.