વૈષ્ણવો માટે ગુડ ન્યુઝ: નાથદ્વારામાં હવે દર્શન માટે પાસ-સિસ્ટમ બંધ
કોરોના મહામારીના કારણે વૈષ્ણવોના આરાધ્યદેવ શ્રીનાથજીબાવાના નાથદ્વારાના મંદિરમાં પણ દર્શન માટે ખાસ પાસ-સિસ્ટમ રાખવામાં આવી હતી. જોકે મહા મહિનાની એકમથી એટલે કે ગઈ કાલથી પાસ-સિસ્ટમ નાબૂદ કરવાનો નિર્ણય નાથદ્વારા ટેમ્પલ બોર્ડે લીધો હતો. નાથદ્વારા ટેમ્પલ બોર્ડના અધ્યક્ષ પ.પૂ. તિલકાયત ગો.૧૦૮ શ્રી રાકેશબાવાજીની આજ્ઞાથી વૈષ્ણવો દર્શન માટે ઑનલાઇન, ઑફલાઇન અને તત્કાળ એમ કોઈ પણ પાસ, ટોકન કે રજિસ્ટ્રેશન વગર માત્ર આધાર કાર્ડ સાથે શ્રીનાથજીનાં નિઃશુલ્ક દર્શન કરી શકશે.
અત્યારે રોજના મંગળા, શણગાર, રાજભોગ, ઉત્થાપન અને ભોગ-આરતીનાં સાથે દર્શન થશે. સંપૂર્ણ મંદિરને સૅનિટાઇઝ કરવા માટે ગ્વાલનાં દર્શન ભીતર થશે. વસંત પંચમીના દિવસથી એટલે કે ૧૬ ફેબ્રુઆરીથી શયનનાં દર્શન પણ ભાવિકો માટે ખોલવામાં આવશે. હાલમાં સંપૂર્ણ મંદિરને દિવસમાં એકથી વધુ વખત સૅનિટાઇઝ કરવામાં આવે છે તેમ જ મંદિરના સંકુલમાં કોવિડના બધા જ સરકારી નિયમો અને તકેદારીઓનું ચુસ્તપણે પાલન કરાય છે.