શિવાજી મહારાજ હિન્દુ સામ્રાજ્ય સ્થાપવા માગતા હતા: RSS
શિવાજી મહારાજ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના નેતા ભૈયાજી જોશીએ ગુરુવારે જણાવ્યું હતું કે ‘હિન્દુ સામ્રાજ્ય’ની સ્થાપના એ છત્રપતિ શિવાજી મહારાજનું લક્ષ્ય હતું. તેઓ આરએસએસ દ્વારા ઊજવાયેલા ‘હિન્દુ સામ્રાજ્ય દિવસ’ પ્રસંગે ફેસબુક-વિડિયો થકી વાતચીત કરી રહ્યા હતા.
ભૈયાજી જોશીએ કહ્યું કે ‘જે રીતે શ્રીકૃષ્ણનો જન્મ ધર્મનું શાસન પ્રસ્થાપિત કરવા માટે થયો હતો અને રામના જીવનનું લક્ષ્ય રાવણનો વધ કરવાનું હતું એવી જ રીતે છત્રપતિ શિવાજી મહારાજના જીવનનું લક્ષ્ય આ દેશને એક હિન્દુ સામ્રાજ્યમાં પરિવર્તિત કરવાનું હતું. તેમના જીવનનો એ સંદેશ હતો.’
ADVERTISEMENT
શિવાજી મહારાજ એક ન્યાયી શાસક હતા અને આવા શાસકો લોકોનો વિશ્વાસ જીતતા હોવાનું આરએસએસના જનરલ સેક્રેટરીએ જણાવ્યું હતું. જો સામાન્ય લોકો શાસક પર વિશ્વાસ ન રાખે તો શાસક સમાજ કે દેશના હિતમાં કામ કરી શકે નહીં.
૧૭૭૪ની છઠ્ઠી જૂને શિવાજી મહારાજનો રાજ્યાભિષેક થયો હતો. આરએસએસ તેમના રાજ્યાભિષેકની જયંતીને હિન્દુ કૅલેન્ડર મુજબ ‘હિન્દુ સામ્રાજ્ય દિવસ’ તરીકે ઊજવે છે.
જોશીએ વધુમાં જણાવ્યું હતું કે શિવાજી મહારાજ નિઃસ્વાર્થ નેતા હતા અને તેઓ ‘સેવક’ તરીકે લોકોની સેવા કરતા હતા. તેઓ રાષ્ટ્રવાદી દૃષ્ટિકોણ ધરાવતા હતા અને વિસ્તરણમાં વિશ્વાસ ધરાવતા નહોતા.
ભૈયાજી જોશીએ અંતમાં કહ્યું હતું કે ‘શિવાજી તટસ્થ હતા અને તેમણે સૌને સાથે રાખીને સામાન્ય લોકોમાં વિશ્વાસનું નિર્માણ કર્યું હતું. તેઓ હંમેશાં તેમના સામ્રાજ્યમાં મહિલા સુરક્ષા સુનિશ્ચિત કરવા વિશે વાત કરતા અને તેઓ મહિલાઓ પરની હિંસાના વિરોધી હતા. તેઓ ખેડૂતોની સુરક્ષા વિશે વાત કરતા અને તેમણે કદી ખેડૂતોને પરેશાન કર્યા નહોતા. કોઈ પણ વ્યક્તિ સાથે અન્યાય ન થાય એ તેઓ સુનિશ્ચિત કરતા હતા.’