HCએ BMC પાસે સગર્ભા મહિલાઓની સારવારની વિગતવાર માહિતી માગી છે
બૉમ્બે હાઈકોર્ટ
વડી અદાલતે મુંબઈ મહાનગરપાલિકા પાસે કોરોના વાઇરસના રોગચાળા વચ્ચે સગર્ભા મહિલાઓની સારવારની કાળજી રાખતા પ્રસૂતિગૃહોની વિગતો માગી હતી. જે.જે. હૉસ્પિટલમાં કોવિડ-૧૯ નેગેટિવ હોવોના સર્ટિફિકેટ વગર પહોંચેલી સગર્ભા મહિલાને દાખલ કરવાનો ડૉક્ટરોએ ઇનકાર કર્યાના કિસ્સાને અનુલક્ષીને મોહીઉદ્દીન વૈદે કરેલી અરજીની સુનાવણીમાં અદાલતે પાલિકા પાસે પ્રસૂતિગૃહોની વિગતો માગી હતી. અદાલતે અરજીની આગામી સુનાવણી ૨૨ મે પર મુલતવી રાખી હતી.
રોગચાળા દરમ્યાન સગર્ભા મહિલાઓની કાળજી રાખવાના પગલાં લેવાની સૂચનાઓ સરકાર અને મહાનગરપાલિકાઓને આપવાની માગણી અરજીમાં કરવામાં આવી હતી. જો કે મુખ્ય ન્યાયમૂર્તિ દીપંકર દત્તા અને ન્યાયમૂર્તિ અમજદ સૈયદની ડિવિઝન બેન્ચ સમક્ષ મુંબઈ મહાનગરપાલિકાએ કરેલી એફિડેવિટમાં એવી ઘટના બન્યાનો ઇનકાર કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
મુંબઈ મહાનગરપાલિકાના વકીલ અનિલ સાખરેએ શહેરમાં અનેક પ્રસૂતિગૃહો સગર્ભા મહિલાઓની સારવાર કરતી હોવાનું જણાવ્યું હતું. એ વખતે અદાલતે પાલિકાને એફિડેવિટ દ્વારા એ બધા પ્રસૂતિગૃહોનાં નામ તથા અન્ય વિગતો રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. એફિડેવિટમાં છેલ્લાં બે અઠવાડિયાંમાં એ પ્રસૂતિગૃહ અને ક્લિનિક્સમાં કેટલી પ્રસૂતિઓ કરવામાં આવી એનો આંકડો આપવાની સૂચના પણ અદાલતે આપી હતી.