Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ક્રેડિટ કાર્ડ:મળે એ નહીં,પણ એનું ચુકવણું કરવાની ક્ષમતા કેળવવી મોટી વાત

ક્રેડિટ કાર્ડ:મળે એ નહીં,પણ એનું ચુકવણું કરવાની ક્ષમતા કેળવવી મોટી વાત

05 December, 2020 10:05 AM IST | Mumbai
Manoj Joshi | manoj.joshi@mid-day.com

ક્રેડિટ કાર્ડ:મળે એ નહીં,પણ એનું ચુકવણું કરવાની ક્ષમતા કેળવવી મોટી વાત

ક્રેડિટ કાર્ડ

ક્રેડિટ કાર્ડ


હા, ક્રેડિટ માટે તો આવું જ કહેવું પડે. એ મળે એનાથી પોરસાઈ જવાની જરૂર નથી. પોરસાવાનું ત્યારે હોય જ્યારે તમે એ મેળવવા ઉપરાંત એ લેણું ચૂકવવાની ક્ષમતા પણ કેળવી શકો. ક્રેડિટનો આ વિષય ગઈ કાલે સવારમાં આવેલા એક ન્યુઝને કારણે ખૂલ્યો છે. રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ દેશની સૌથી મોટી પ્રાઇવેટ બૅન્કને નવા ક્રેડિટ કાર્ડ આપવા પર રોક લગાવી દીધી છે. નવા કાર્ડ લૉન્ચ નહીં કરી શકાય, આપી નહીં શકાય અને એ આપવાની પ્રોસેસ પણ જ્યાં હોય ત્યાં રોકી દેવાની રહેશે. આવું કરવાનું કારણ છે, ડિજિટલ ટ્રાન્ઝૅક્શન માટે સર્વોચ્ચ કહેવાય એવી ટેક્નિકલ ક્ષમતા ઊભી નહીં થતી હોવા છતાં કાર્ડ આપવાનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાને ફરિયાદ મળ્યા પછી રિઝર્વ બૅન્કે એ દિશામાં ઇન્ક્વાયરી કરી અને વાતમાં સચ્ચાઈ લાગી એટલે આ પગલું રિઝર્વ બૅન્કે લીધું.
અહીં વાત ટેક્નિકલિટીની છે, પણ આપણે વાત કરવાની છે આ ડિજિટલ પૈસાની અને એ વાત કરતાં પહેલાં તમને પૂછવાનું છે કે કાર્ડ હોવું એ ગર્વની વાત ગણવી કે એ કાર્ડ વાપરવાની સૂઝબૂઝ કેળવવી એ વાતને ગર્વની વાત સમજવી. બધા પાસે આનો જવાબ છે જ અને એ પછી પણ એ જવાબને સમજવાની કે પછી એને લાયક બનવાની તૈયારી બહુ ઓછા લોકોમાં છે એવું કહીએ તો પણ કશું ખોટું નથી.
ક્રેડિટ કાર્ડ માટે પહેલી વાત તો એ કે જેની આવક નિશ્ચિત છે તેણે એ વાપરવાની જરૂર નથી. બીજી વાત એ કે જે બે છેડા ભેગા કરવા માટે તનતોડ મહેનત કરે છે તેને એમ લાગે છે કે ક્રેડિટથી ફાયદો થાય છે, પણ એવા લોકોએ ક્રેડિટ કાર્ડ વાપરવાની જરૂર નથી. તેમને માટે આ એક ચેસની ગેમ જેવું બની જાય છે. એક ચાલ ખોટી પડી કે પછી એક સંકટ આવીને ઊભું રહ્યું કે આખી ગેમ હારી જવાની. બહેતર છે કે સંકડામણને જીવનનો એક ભાગ બનાવી લેવો જોઈએ અને મહેચ્છાઓને કાબૂમાં રાખવાની તૈયારી કરી લેવી જોઈએ, પણ ઉછીના શ્વસન જેવા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ન કરવો જોઈએ. આ બે પ્રકારના લોકો પછી બાકી વધે છે એવા લોકો જે આર્થિક સક્ષમ છે અને સધ્ધરતા ધરાવે છે. આ પ્રકારના લોકો માટે ક્રેડિટ કાર્ડ વાપરે કે ન વાપરે એનાથી કોઈ લાંબો ફરક નથી પડતો અને એટલે જ તે વાપરે તો એમાં કશું લૂંટાઈ નથી જતું. ઇકૉનૉમીના એક્સપર્ટ અને સોશ્યલૉજીમાં નિષ્ણાત થયેલા લોકોનું ક્રેડિટ કાર્ડ માટેનું ગણિત સમજવા જેવું છે. તેમનું કહેવું છે કે જેટલા રૂપિયા બૅન્કના સેવિંગ અકાઉન્ટમાં પડ્યા રહેતા હોય એટલી મર્યાદાનું જ ક્રેડિટ કાર્ડ વાપરવું જોઈએ. જો ભૂલથી પણ બિલ ચૂકવવાનું રહી ગયું તો પણ એ આપોઆપ બૅન્ક અકાઉન્ટમાંથી ભરાઈ જશે અને બધાનું કામ રાબેતા મુજબ ચાલતું રહેશે. ક્રેડિટ કાર્ડ કેવી રીતે વાપરવું એ પણ એક કળા છે અને આ કળામાં મહારત હાંસલ કરવી એ એક મોટી જવાબદારી છે. સાહેબ, ભૂલવું નહીં ક્રેડિટ મળે એમાં મહાનતા નથી, પણ ક્રેડિટે જે મળ્યું હોય એનું ચુકવણું સમયસર થાય એની ક્ષમતા કેળવવી એ જ મોટી વાત છે અને એમાં જ માસ્ટરી મેળવવાની હોય છે.


Whatsapp-channel Whatsapp-channel

05 December, 2020 10:05 AM IST | Mumbai | Manoj Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK