ગણેશવિસર્જન રથ આવશે તમારા ઘરઆંગણે
જેમાં કૃત્રિમ તળાવ બનાવાયાં છે એવા આ ટ્રકોને ગણેશમંડળની જેમ શણગારાયાં છે.
આ વર્ષે કોરોનાને કારણે ગણેશોત્સવનું આયોજન અલગ પ્રકારથી કરવામાં આવ્યું છે. વિસર્જન માટે લોકો ભેગા ન થયા એ માટે મોટા ટ્રકમાં કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યાં છે, જે નાગરિકોના ઘરે આવીને ગણેશમૂર્તિનું વિસર્જન કરવામાં મદદરૂપ થશે. ભારતીય જનતા યુવા મોર્ચાએ આ પહેલને ‘વિસર્જન આપલ્યા દ્વારી’ નામ આપ્યું છે.
‘મિડ-ડે’ સાથે વાત કરતાં બીજેવાયએમ મુંબઈના પ્રેસિડન્ટ તજિન્દર સિંહનું કહેવું છે કે ‘શહેરના અનેક સિનિયર સિટિઝનના ફોન આવ્યા બાદ અમને આ વિચાર આવ્યો હતો. આ સિનિયર સિટિઝનનાં બાળકો વિદેશમાં અટવાયેલાં હોવાથી તેમણે અમારી મદદ માગી હતી. મોટા ભાગના લોકો ઘરમાં એકલા રહે છે. અમે કૃત્રિમ તળાવ માટે કન્સ્ટ્રક્શન માટે વાપરવામાં આવતા ટ્રક ભાડે લીધા છે, જેના પર અમે કૃત્રિમ તળાવ બનાવશું અને એને ફૂલોથી સજાવશું. મોટા ભાગના લોકો હિન્દુ માન્યતા મુજબ મૂર્તિનું વિસર્જન કરવા માગતા હોવાથી તેમની જરૂરતોનું ધ્યાન રાખી તેમના ઘર સુધી આ ટ્રક મોકલવામાં આવશે. અમે પોલીસને પણ મદદ કરવાનું નક્કી કર્યું છે. અમે આ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરીશું અને દરેક મતવિસ્તારમાં ઓછામાં ઓછી એક ટ્રક મોકલશું. અત્યાર સુધી એવા ૩૬ રથ તૈયાર છે, જેને ગણેશમંડળની જેમ સજાવવામાં આવ્યા છે. અમે આ કાર્ય માટે રોડ-મૅપ પણ બનાવી લીધો છે.’