રૂપાણીસાહેબ કહે છે કે રાજ્યભરમાં હાઈ-અલર્ટ જેવું કંઈ છે જ નહીં
સોમનાથનાં દર્શન કરી પૂજા-અર્ચના કરી રહેલા ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી.
ભારતભરમાં ૧૫ ઑગસ્ટને લઈ આતંકવાદી હુમલાને લીધે ઇનપુટ આપવામાં આવ્યા હતા ત્યારે હવે ગુજરાત પોલીસ વધુ સતર્ક બની છે. ચાર આતંકવાદી ઘૂસ્યા હોવાના ઇનપુટ મળી રહ્યા છે જેમાંથી એક અફઘાન આતંકીનો સ્કેચ ગુજરાત એટીએસે રાજ્યભરની પોલીસને મોકલ્યો છે. બીજી તરફ ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી કહે છે કે આવી વાત કોઈ રેકૉર્ડ પર નથી. મીડિયામાં આવી રહ્યું છે તે વધુ પડતું છે. ગુજરાત એટીએસ અને મુખ્ય પ્રધાનની વાતમાં મતભેદ જોવા મળી રહ્યો છે. જો ખુદ મુખ્ય પ્રધાન એવું કહેતા હોય કે રેકૉર્ડ પર આવી કોઈ વાત નથી તો એટીએસએ અફઘાની આતંકીનો સ્કેચ કઈ રીતે રાજ્યભરની પોલીસને મોકલ્યો.
સોમનાથ દર્શન કરવા આવેલા મુખ્ય પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, પોલીસ એક્ટિવલી અને પ્રો એક્ટિવલી કામ કરી રહી છે. મીડિયામાં ચાલી રહ્યું છે કે આતંકી હુમલાને કારણે પોલીસ સર્ચ કરી રહી છે તે વધુ પડતું છે. ગુજરાતમાં તાત્કાલિક હુમલાની કોઈ વાત રેકૉર્ડ પર નથી. એક તરફ આઇબી સ્કેચ જાહેર કરી ગુજરાત એટીએસને મોકલે છે તે રાજ્યભરમાં ફોટા સાથે ફેક્સ કરે છે તો બીજી તરફ ખુદ સીએમ આ વાતને વધારે પડતી માની રહ્યા છે.
ADVERTISEMENT
ગુજરાત પોલીસ વધુ સતર્ક બની છે. ગુજરાત એટીએસ તરફથી શહેરની એસઓજી, જિલ્લા એસઓજી પોલીસને એક ફેક્સ મેસેજ કરાયો છે. જેમાં ચાર જેટલા લોકો ભારતમાં ઘૂસ્યા હોવાના ઇનપુટ અપાયું છે. અફઘાનિસ્તાનના કુનર પ્રાંતનો પાસપોર્ટ ધરાવતા આ આતંકી ગ્રુપના વડાનો પાસપોર્ટ અને ફોટો પણ પોલીસને કરેલા ફેક્સ મેસેજમાં સામેલ છે. આ શખસ આતંકી ગ્રુપને માર્ગદર્શન આપનાર ઝાકી નામના ઇસમનું પાકિસ્તાની ઓળખપત્ર પણ સામેલ કરાયું છે. હાઈ અલર્ટ વચ્ચે ગુજરાતની તમામ સરહદો પર સિક્યૉરિટી ટાઈટ કરી દેવામાં આવી છે.
તાજેતરમાં કાશ્મીરમાંથી ૩૭૦ હટાવતાં જ અલર્ટ અપાયું હતું. કેટલાક આતંકી સંગઠનો પણ એક્ટિવ થઈ હુમલો કરવાના હોવાના પોલીસને ઇનપુટ મળ્યા હતા. ત્યારે વધુ એક વખત શહેર પોલીસ તથા તમામ એસઓજીને એટીએસ તરફથી એક ફેક્સ મેસેજ મોકલવામાં આવ્યો છે. જેમાં જણાવાયું છે કે, ઑગસ્ટ ૨૦૧૯ની શરૂઆતમાં અફઘાન પાસપોર્ટ ધરાવતા ચાર ઇસમોએ ભારતનાં શહેરોમાં જ્યાં મોટી સંખ્યામાં જનમેદની એકઠી થતી હોય તેવા સ્થળોએ ટેરર અટેકને અંજામ આપવા સારું અફઘાનિસ્તાન બોર્ડર ક્રોસ કરી ભારતમાં ઘૂસણખોરી કરેલી છે.
આ પણ વાંચો : સસ્પેન્ડેડ IAS દહિયા હાઈ કોર્ટ પહોંચ્યા, પોલીસની હેરાનગતિનો આક્ષેપ
શ્રાવણિયા સોમવારે શિવભક્તે સોમનાથ મહાદેવને ૫૧ ગ્રામ સોનાનું ત્રિપુંડ અર્પણ કર્યું
પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે ગઈ કાલે શ્રાવણના ત્રીજા સોમવારે વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં ભગવાન સોમનાથને એક શિવભક્તે ૫૧ ગ્રામ સોનાનું ત્રિપુંડ અર્પણ કર્યું હતું. ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગઈ કાલે પરિવાર સાથે દેવાધિદેવ સોમનાથના શરણે જઈ દર્શન કર્યાં હતાં અને પ્રાતઃ આરતી, ધ્વજાપૂજા-અર્ચના કરીને ભગવાનના આશીર્વાદ લીધા હતા. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિજય રૂપાણીનું સાલ ઓઢાડીને તેમ જ સોમનાથ મહાદેવનું સ્મૃતિચિહ્ન આપીને સન્માન કરવામાં આવ્યું હતું.