બનાસકાંઠામાં 4 હાથીઓને બિનવારસી છોડી જતાં તંત્રમાં દોડધામ
પ્રતીકાત્મક તસવીર
બનાસકાંઠામાંથી એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. જેને જાણીને તમને પણ નવાઈ લાગશે કે ભાઈ આવું તે કોણ કરે અને કેમ કરે. ખેર, કિસ્સો એવો છે કે બનાસકાંઠામાં આજે ૪ હાથીઓ બિનવારસી મળી આવ્યા હતા. એટલે કે આ ચાર હાથીઓને કોઈ અહીં બિનવારસી છોડી ગયું હતું. હાથીઓ છોડી દેવાયા હોવાની જાણ થતાં તંત્ર દોડતું થયું હતું. દુનિયામાં આમ તો રોજેરોજ નવાઈ પમાડતાં અનેક અજીબોગરીબ કિસ્સાઓ સામે આવતા હોય છે. તેવામાં જો બનાસકાંઠાના કિસ્સાની વાત કરીએ તો બનાસકાંઠાના પાંથાવાડાના સાતસણ ગામ નજીક ચાર હાથીઓને કોઈ બાંધીને જઈ રહ્યું હતું.
હાથીઓને જોતાં ગ્રામજનોમાં પણ કુતૂહલ સર્જાયું હતું અને આ મામલે તેઓએ તાત્કાલિક તંત્રને જાણ કરી હતી. હાથીઓને બાંધીને જનારા બુદ્ધિમાન કહેવાતા માણસોનો સ્વાર્થ તો જુઓ, તે લોકોએ હાથીઓને તો બાંધી દીધા પણ હાથીઓને ખાવા માટેની કોઈ વ્યવસ્થા કરી નહોતી. જે હાથીએ તેમને વગર સ્વાર્થે સાથ આપ્યો હશે તે જ હાથીઓને ભૂખે રઝળતાં રાખીને અજાણ્યા માણસો ફરાર થઈ ગયા હતા. જોકે ગ્રામજનોએ આ મામલે તંત્રને જાણ કરતાં વન વિભાગની ટીમ પણ તાબડતોબ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને હાથીઓને ખાવાની વ્યવસ્થા કરી હતી. હાલ તો વન વિભાગની ટીમ દ્વારા આ ચાર હાથીઓનો કબજો લઈ લેવાયો છે અને હાલ વન વિભાગની ટીમ દ્વારા હાથીઓની દેખરેખ રાખવામાં આવી રહી છે. સાથે હાથીઓને અહીં કોણ અને શા કારણે છોડી દેવામાં આવ્યા તે અંગે પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. જંગલનો રાજા પણ જેને નતમસ્તક થાય છે તેવાં હાથીઓની આવી દુર્દશા જોઈને માથું શરમથી ઝૂકી જાય છે.