ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખરજીની તબિયત હજી ગંભીર
પ્રણબ મુખરજી
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખરજીના મગજમાંથી ગાંઠ કાઢવાની સર્જરી બાદ હજી તેમની તબિયતની સ્થિતિ ગંભીર હોવાનું નવી દિલ્હીની આર્મી હૉસ્પિટલનાં સૂત્રોએ જણાવ્યું હતું. ૧૦ ઑગસ્ટે સર્જરી કર્યા બાદ તેઓ લાઇફ સપોર્ટિંગ સિસ્ટમ-વૅન્ટિલેટર પર હતા. હૉસ્પિટલનાં સૂત્રોએ પ્રણબ મુખરજી હેમોડાઇનેમિકલી સ્ટેબલ હોવાનું મેડિકલ બુલેટિનમાં જણાવ્યું હતું.
૮૪ વર્ષના પ્રણબ મુખરજીએ ગયા સોમવારે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર તેમનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હોવાનું જણાવ્યું હતું. ટ્વિટર પર મુકાયેલા એ સંદેશામાં પ્રણબ મુખરજીએ તેમના સંપર્કમાં આવેલી વ્યક્તિઓને સેલ્ફ આઇસોલેટ થવા અને કોવિડ-19ની ટેસ્ટ કરાવવાની સલાહ આપી હતી.