પાકિસ્તાન ડિપ્લોમૅટે કર્યો સ્વીકાર, બાલાકોટ હુમલામાં ૩૦૦ લોકોનાં મોત
પ્રતીકાત્મક તસવીર
પાકિસ્તાનના ભૂતપૂર્વ ડિપ્લોમૅટ આગા હિલાલીએ તાજેતરમાં પાકિસ્તાનની પોલ ખોલતાં એ વાતની સ્પષ્ટતા કરી હતી કે ૨૦૧૯ની ૨૬ ફેબ્રુઆરીએ ભારતના બાલાકોટ ઍર સ્ટ્રાઇકમાં અંદાજે ૩૦૦ જેટલા લોકોનાં મોત થયાં હતાં. પાકિસ્તાને જૂઠાણું ફેલાવતો દાવો કર્યો હતો કે આ હુમલામાં કોઈ જાનહાનિ નથી થઈ.
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફની ટુકડી પર થયેલા આતંકી હુમલાનો બદલો લેવા ભારતીય વાયુસેનાએ ખૈબર પખ્તુન્ખા પ્રાંતસ્થિત બાલાકોટમાં આવેલા આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના અડ્ડા પર હવાઈ હુમલો કર્યો હતો. એ વખતે પાકિસ્તાને કોઈ પણ આતંકવાદી માર્યા ગયા ન હોવાનું કહ્યું હતું. પુલવામામાં ભારતના ૪૦ જવાન શહીદ થયા હતા અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પાકિસ્તાનની નિંદા કરવામાં આવી હતી.
ADVERTISEMENT
આગા હિલાલીએ કહ્યું કે ‘ભારતે આંતરરાષ્ટ્રીય સીમા પાર યુદ્ધની કાર્યવાહી કરી હતી, જેમાં કમસે કમ ૩૦૦ લોકોનાં મોત થયાં હતાં, પણ અમારું નિશાન તેમના નિશાન કરતાં અલગ હતું.’