સાપુતારામાં પતંગોત્સવ માટે આવેલા મહેમાનોની પ્રવાસન વિભાગ સામે નારાજગી
સાપુતારામાં સાપની પ્રતિમા સાથે ફોટો પડાવતા પતંગબાજો.
ગિરિમથક સાપુતારામાં ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પવન અનુકૂળ રહેતાં આંતરરાષ્ટ્રીય પતંગબાજોને મજા પડી ગઈ હતી.
જોકે પ્રવાસન વિભાગના વિદેશી મહેમાનોને સરકારનાં કામ પ્રત્યે કડવો અનુભવ થયો હતો.
રાજ્યમાં દેશ-વિદેશના પ્રવાસીઓ આવે એ માટે ગુજરાત સરકારનો પ્રવાસન સાપુતારામાં પતંગોત્સવ વિભાગ કરોડો રૂપિયાના ખર્ચે વિવિધ ઉત્સવોનું આયોજન કરે છે, જેમાં પતંગ ઉત્સવ ખાસ આકર્ષણ જમાવે છે. રાજ્યના એકમાત્ર ગિરિમથક ખાતે દર વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન થાય છે, જેમાં ૫૦થી વધુ આંતરરાષ્ટ્રીય અને ૩૦થી વધુ ભારતીય પતંગબાજો પ્રવાસીઓ માટે વિવિધ પ્રકારના રંગબેરંગી પતંગ ઉડાડે છે. શનિવારે પણ સાપુતારામાં પતંગબાજોને અનુકૂળ પવન મળી રહેતાં આકાશ રંગબેરંગી વિવિધ પ્રકારના પતંગોથી ભરાઈ ગયું હતું. જોવા જેવી બાબત એ છે કે ગુજરાતનાં પ્રવાસન સ્થળોએ દેશ-વિદેશના પ્રવાસીઓને આકર્ષવા માટેના કાર્યક્રમમાં ખુદ ગુજરાત પ્રવાસન વિભાગના મહેમાન બનીને આવેલા વિદેશી પતંગબાજો જ્યારે સાપુતારાની ઓળખ એવા મ્યુઝિયમ પાછળ બનાવેલી સાપની પ્રતિમાની મુલાકાત લેવા ગયા ત્યારે આ સ્થળે જવા માટે તેઓએ લોખંડના સળિયાવાળી કમ્પાઉન્ડ-વૉલ કૂદીને જવું પડ્યું હતું, કેમ કે સ્થાનિક તંત્ર દ્વારા આ સ્થળની માવજત કરવામાં આવતી નથી. ઉલ્લેખનીય છે કે આ સ્થળે વર્ષ દરમ્યાન વિવિધ ઉત્સવનું આયોજન પણ કરવામાં આવે છે. વિદેશી મહેમાનને આ બાબતે પુછાતાં તેઓએ હાલમાં ટૂરિઝમ દ્વારા આમંત્રિત હોવાથી ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું.