ભગવાનનાં દર્શન કરવા જઈ રહેલા પાંચ જણને ભગવાને બોલાવી લીધા
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં શુક્રવારે સવારે એસયુવી કાર એક સ્ટેશનરી ટ્રક સાથે અથડાતાં કારમાં સવાર ૧૧ વર્ષની બાળકી સહિત પાંચ વ્યક્તિનાં મૃત્યુ નીપજ્યાં હતાં અને ૧૦ને ઈજા થઈ હતી, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
પીડિતો સોલાપુરના પંઢરપુર જઈ રહ્યા હતા. આ અકસ્માત સવારે ૬ વાગ્યે સંગોલા-પંઢરપુર રોડ પરના કાસેગાંવ ગામ નજીક બન્યો હતો. એસયુવીમાં સવાર લોકો કોલ્હાપુરના ચાંદગડ તાલુકાના હતા. કુલ ૧૫ લોકો પંઢરપુરમાં ભગવાન વિઠ્ઠલનાં દર્શન કરવા જઈ રહ્યા હતા. એસયુવીના ડ્રાઇવરે કારની સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતાં કાર રોડ પર પાર્ક કરેલી ટ્રકમાં ઘૂસી ગઈ હતી.
ADVERTISEMENT
દુર્ઘટનામાં બે પુરુષો, બે સ્ત્રીઓ અને ૧૧ વર્ષની એક બાળકીનાં મૃત્યુ થયાં હતાં અને ૧૦ જણ ઘાયલ થયા હતા, જેમને પંઢરપુરની સરકારી હૉસ્પિટલમાં લઈ જવાયા હતા. પોલીસે કેસ નોંધીને તપાસ આદરી છે.