કાલથી શરૂ થશે સંસદનું સત્ર
પાર્લામેન્ટ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બનેલી નવી સરકારે સોમવારથી શરૂ થયેલા સંસદના સત્રમાં વિપક્ષના તીખા પ્રહારનો સામનો કરવો પડશે. ટોચનાં સૂત્રોએ જણાવ્યા પ્રમાણે કૉન્ગ્રેસ સહિત તમામ વિપક્ષ ઈવીએમનો મુદ્દો સંસદમાં ઉઠાવવાની તૈયારી કરી રહ્યા છે.
વિપક્ષને આશંકા છે કે બીજેપીની લોકસભાની ચૂંટણીમાં ઐતિહાસિક જીત પાછળ ચૂંટણી પંચ અને ઈવીએમે મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આ સવાલ એટલા માટે ઊઠી રહ્યો છે કે ચૂંટણી પંચના આંકડા સાથે વિપક્ષ સંમત નથી. ઈવીએમના મુદ્દે કૉન્ગ્રેસે હજી સુધી કોઈ સીધો પ્રહાર નથી કર્યો, પરંતુ પક્ષનાં મહામંત્રી પ્રિયંકા ગાંધીએ રાયબરેલીની મુલાકાત દરમ્યાન ઈવીએમનો ઉલ્લેખ કર્યા વગર ઇશારામાં કહ્યું હતું કે બીજેપી ચૂંટણી કઈ રીતે જીતી છે. પક્ષનાં સૂત્રોએ જણાવ્યા પ્રમાણે વિપક્ષ સંસદમા હંગામા બાદ આ મુદ્દાને ચૂંટણી પંચ અને રાષ્ટ્રપતિ પાસે લઈ જવાની તૈયારીમાં છે. તેઓની માગણી છે કે હવે પછીની ચૂંટણી બૅલટ પેપરથી થવી જોઈએ. આ મુદ્દે કૉન્ગ્રેસ જ નહીં, મમતા, માયાવતી, અખિલેશ, ચંદ્રાબાબુ સહિતના નેતાઓએ વિરોધ નોંધાવ્યો છે.
ADVERTISEMENT
મોદી સરકારના બીજા કાર્યકાળનું પ્રથમ બજેટ પાંચમી જુલાઈએ રજૂ થશે. નાણાપ્રધાન સીતારામણ પાંચમી જુલાઈએ ૨૦૧૯-’૨૦નું પૂર્ણ બજેટ રજૂ કરશે. આર્થિક સર્વેક્ષણ સંસદમાં ચોથી જુલાઈએ રજૂ થશે જેમાં દેશની અર્થવ્યવસ્થાની તસવીર રજૂ થશે. સામાન્ય બજેટમાં જ રેલવે-બજેટનો સમાવેશ કરી લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો : પાંચ ટ્રિલ્યન ડૉલર ઇકૉનૉમી બનાવવાનું ભારતનું લક્ષ્યઃ મોદી
આ સત્ર ૨૬ જુલાઈ સુધી ચાલશે. રાજ્યસભાનું સત્ર ૨૦ જૂનથી શરૂ થઈને ૨૬ જુલાઈ સુધી ચાલશે. આ સત્ર ૪૦ દિવસ સુધી ચાલશે અને એની ૩૦ બેઠકો યોજાશે. પ્રથમ બે દિવસ દરમ્યાન નવા સભ્યોને શપથ લેવડાવવામાં આવશે. રાષ્ટ્રપતિ કોવિંદ ૨૦ જૂને લોકસભા અને રાજ્યસભાના સંયુક્ત અધિવેશનને સંબોધશે જે પછી તેમના સંબોધન પર ધન્યવાદ-પ્રસ્તાવ પર ચર્ચા થશે.