તારાપુરની કેમિકલ ફૅક્ટરીમાં આગ: બે કર્મચારી ઘાયલ
પ્રતીકાત્મક તસવીર
તારાપુરની કેમિકલ ફૅક્ટરીમાં શનિવારે સવારે ૧૧.૩૦ વાગ્યે આગ ફાટી નીકળી હતી, જેમાં બે કામગાર દાઝી ગયા હતા. ઘાયલોને તરત જ સારવાર માટે હૉસ્પિટલમાં લઈ જવાયા હતા. ઘટનાની જાણ થતાં પાંચ ફાયર-એન્જિન ઘટનાસ્થળે ધસી ગયાં હતાં.
તારાપુરના પ્લૉટ-નંબર એન પર આવેલી બજાજ હેલ્થકૅર પ્રાઇવેટ લિમિટેડમાં આ આગ લાગી હતી. આગ લાગ્યાની જાણ થતાં જ બે ફાયર-એન્જિન ઘટનાસ્થળે ધસી ગયાં હતાં. જોકે પાછળથી આગનો વ્યાપ વધતાં અન્ય ફાયર-એન્જિન મગાવવામાં આવ્યાં હતાં. બોઇસર ફાયર-બ્રિગેડના ઑફિસર મનીષ સાવંતે કહ્યું હતું કે ‘પ્રાથમિક તપાસમાં શૉર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાની શક્યતા હોવાનું જણાય છે. આ દુર્ઘટનામાં ૨૯ વર્ષનો નીલેશ બોરસે ૫૦ ટકા દાઝી ગયો હતો. તેને બોઇસરની તુંગા હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો. ત્યાર બાદ તેને નવી મુંબઈની ઐરોલી બર્ન હૉસ્પિટલમાં શિફ્ટ કરાયો હતો. અન્ય કામગાર સામાન્ય દાઝ્યો હતો. તેને પણ હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો. આ ઘટનાની નોંધ બોઇસર પોલીસ-સ્ટેશનમાં કરાઈ હતી.’