ફાઇનલી, નગરસેવકોને રોડના ખાડાની ચિંતા થઈ
ફાઇનલી, નગરસેવકોને રોડના ખાડાની ચિંતા થઈ
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (બીએમસી)માં માર્ગો પર ગેરકાયદે ખોદાતા ખાડાની સમસ્યાએ ફરી માથું ઊંચક્યું છે. કૉર્પોરેટરે શહેરના માર્ગોને નુકસાન પહોંચાડતા ગેરકાયદે ખાડાના દૂષણને નાથવા માટે નીતિ ઘડવાની વિનંતી કરી છે. ઘણા કૉર્પોરેટરો અને એન્જિનિયરો અગાઉ આ પ્રશ્ન રજૂ કરી ચૂક્યા છે, પરંતુ કૉર્પોરેશનને હજી સુધી એનો કોઈ ઉકેલ મળ્યો નથી.
સામાન્યપણે એમટીએનએલ, ગૅસ અને વીજ કંપનીઓ સહિતના તમામ યુટિલિટી પ્રોવાઇડર્સ વાયર નાખવા, રિપેરિંગ વગેરે માટે બીએમસી પાસેથી પરવાનગી લીધા પછી જ આવા ખાડા ખોદી શકે. આથી, બીએમસી પાસેથી પરવાનગી લીધા વિના ખોદવામાં આવેલા તમામ ખાડા ગેરકાનૂની છે.
ખાડાની સમસ્યા વર્ષોથી બીએમસી માટે માથાના દુખાવાસમાન છે. એના કારણે રોડના બાંધકામને હાનિ પહોંચે છે અને એમાં પાણી પ્રવેશે છે જેના કારણે ભૂવા પડે છે.
સમાજવાદી પાર્ટીના જૂથનેતા અને કૉર્પોરેટર રઈસ શેખે મંગળવારે સ્ટૅન્ડિંગ કમિટીની મીટિંગમાં ગેરકાયદે ખાડાઓનો મુદ્દો ઉઠાવ્યો હતો. શેખે મ્યુનિસિપલ કમિશનરને પત્ર પાઠવીને તેમને પરવાનગી વિના માર્ગો ખોદવાની પ્રવૃત્તિ વિરુદ્ધ કાનૂની પગલાં ભરવા માટે વિસ્તૃત નીતિ ઘડવાની વિનંતી કરી છે. કોણ અને કયા દરજ્જાનો અધિકારી બીએમસીના નુકસાનના આધારે કેસ દાખલ કરશે, એ વિશે સ્પષ્ટતા થવી જોઈએ. કૉર્પોરેશને આ ગુનો બિન-જામીનપાત્ર બને એવી નીતિ ઘડવી જોઈએ.
આ અગાઉ અન્ય ઘણા કૉર્પોરેટરોએ જનરલ હાઉસ મીટિંગમાં આ મુદ્દો રજૂ કર્યો હતો. રોડ ડિપાર્ટમેન્ટના એન્જિનિયરો પણ તેમની બેઠકોમાં આ મુદ્દો ઉઠાવતા આવ્યા છે અને માર્ગોની કંગાળ સ્થિતિ માટે તેમને જવાબદાર ઠેરવે છે. વહીવટી તંત્રએ થોડાં વર્ષો અગાઉ બૉમ્બે હાઈ કોર્ટને પણ જાણ કરી હતી કે ખોદકામને કારણે માર્ગની ગુણવત્તા નબળી પડે છે.