આખું વર્ષ ફક્ત ઑનલાઇન અભ્યાસના આધારે બોર્ડની પરીક્ષા કેવી રીતે આપવી?
પ્રતીકાત્મક તસવીર
કોરોના રોગચાળા અને લૉકડાઉનના માહોલમાં સ્કૂલ-કૉલેજો બંધ રહેવાને કારણે ફક્ત ઑનલાઇન ક્લાસિસ પર આધારિત ભણતરને આધારે પરીક્ષા કેવી રીતે આપવી એ વિમાસણ વિદ્યાર્થીઓ અને તેમનાં માતા-પિતાને સતાવે છે. બોર્ડની પરીક્ષાઓને બે મહિનાથી ઓછો વખત બાકી છે ત્યારે માનસિક તાણથી પીડાતા વિદ્યાર્થીઓ રાજ્ય સરકારની હેલ્પલાઇન પર ફોન કરીને કાઉન્સેલર્સની મદદ લઈ રહ્યા છે. શરૂઆતમાં એ કાઉન્સેલર્સની નિમણૂક કારકિર્દી વિશે માર્ગદર્શન માટે કરવામાં આવી હતી, પરંતુ હવે તેઓ વિદ્યાર્થીઓને હિંમત, સાંત્વના, સધિયારો આપવા અને માનસિક તાણ દૂર કરવામાં પણ મદદરૂપ થઈ રહ્યા છે. કારણ કે તેમની પાસે એ અપેક્ષા પણ રાખવામાં આવે છે.
સ્ટેટ કાઉન્સિલ ફૉર એજ્યુકેશનલ રિસર્ચ ઍન્ડ ટ્રેઇનિંગ (એસસીઈઆરટી)એ નિયુક્ત કરેલા કાઉન્સેલર્સને કોઈ વિદ્યાર્થી પૂછે છે કે ‘હું આખા વર્ષમાં એક પણ દિવસ સ્કૂલમાં ભણ્યો નથી. હવે એસએસસીની પરીક્ષા કેવી રીતે આપીશ?’ અન્ય વિદ્યાર્થીની માતા પૂછે છે કે ‘મારા સંતાને પરીક્ષા માટે પૂરેપૂરી તૈયારી કરી નથી. એ આ વર્ષે ડ્રૉપ લઈ લે તો ચાલે? આ ગૅપ ઍૅકૅડેમિક યરની અસર તેના ઓવરઑલ એજ્યુકેશન પર પડશે?’ કાઉન્સિલે નિયુક્ત કરેલા ૪૦૦ કાઉન્સેલર્સમાંથી ૧૧૩ કાઉન્સેલર્સ મુંબઈ અને થાણેના વિદ્યાર્થીઓ માટે ફાળવવામાં આવ્યા છે.
ADVERTISEMENT
દાદરની સ્કૂલના શિક્ષક અને કાઉન્સેલર વિજયસિંહ દાવડકરે જણાવ્યું હતું કે ‘આ વર્ષે ફક્ત વિદ્યાર્થીઓ જ નહીં, તેમનો સમગ્ર પરિવાર ચિંતામાં રહેતો હોવાનું જોવા મળે છે. પરીક્ષામાં શું થશે એની ચિંતા સૌથી વધારે હાલમાં જોઈ શકાય છે. ભવિષ્યની શૈક્ષણિક કારકિર્દી અને નાપાસ થવાશે તો શું એની વ્યગ્રતા વધી ગઈ છે.’