લોકલ ટ્રેનોમાં વકીલોના પ્રવાસની મંજૂરી લંબાવાઈ
લોકલ ટ્રેનોમાં વકીલોના પ્રવાસની મંજૂરી લંબાવાઈ
રેલવે ઑથોરિટીએ અદાલતોમાં પ્રૅક્ટિસ કરતા વકીલોને અને ઍડ્વોકેટ્સના રજિસ્ટર્ડ ક્લર્ક્સને ચોક્કસ સમયમાં સ્પેશ્યલ મુંબઈ સબર્બન ટ્રેનોમાં મુસાફરી કરવા માટેની પરવાનગીની સમયમર્યાદા ‘આગામી સૂચના આપવામાં ન આવે ત્યાં સુધી’ ગુરુવારે લંબાવી હતી.
૨૬ ઑક્ટોબરે ઑથોરિટીએ વકીલોને ૨૩ નવેમ્બર સુધી લોકલ ટ્રેનોમાં મુસાફરી કરવાની પરવાનગી આપી હતી. ગુરુવારે સેન્ટ્રલ રેલવે અને પશ્ચિમ રેલવેએ સંયુક્ત યાદીમાં જણાવીને પરવાનગી લંબાવી હતી.
સબર્બન ટ્રેનોમાં મુસાફરી કરવાની જેમને પરવાનગી આપવામાં આવી હોય તેવા પ્રવાસીઓ કોવિડ માટેના જરૂરી મેડિકલ અને સોશ્યલ નિયમોનું પાલન કરે એવી વિનંતી કરવામાં આવે છે. અન્ય લોકોને સ્ટેશનો પર એકત્રિત ન થવાની અપીલ કરવામાં આવે છે એમ યાદીમાં જણાવ્યું હતું.
અત્યારે રેલવે ઑથોરિટી મહારાષ્ટ્ર અને કેન્દ્ર સરકારના કર્મચારીઓ સહિત જરૂરી સેવાઓ પૂરી પાડતા સ્ટાફ માટે સ્પેશ્યલ સબર્બન સર્વિસ ચલાવી રહી છે.