ચીન, ઈરાન બાદ ભારતમાં પણ તાંડવ મચાવશે કોરોના : નિષ્ણાત
સૌથી મોટો ખતરોઃ કલકત્તામાં માસ્ક પહેરીને જઇ રહેલા સાઇકલ સવાર રોડ પર મૂકેલા પાર્ટી માસ્કને જોઇ રહ્યા છે. (પી.ટી.આઇ.)
ચીનમાં હાહાકાર મચાવી ચૂકેલો કોરોના વાઇરસ પહેલાં ઈરાન અને ત્યાર બાદ યુરોપના દેશોમાં પોતાનો કાળો કેર વર્તાવી ચૂક્યો છે. હવે આ વાઇરસ ભારતને પોતાનું નિશાન બનાવી શકે છે એવી આશંકા દેશના જાણીતા સ્વાસ્થ્ય નિષ્ણાતે વ્યક્ત કરી છે.
તેમના જણાવ્યા પ્રમાણે ભારત કોરોના વાઇરસનું આગામી સૌથી મોટું કેન્દ્ર બની શકે છે. એટલે કે ચીન, ઈરાન, ઇટલી અને સ્પેન બાદ હવે કોરોના વાઇરસનું સંક્રમણ ભારતમાં સૌથી વધારે વધી શકે છે, કારણ કે ભારતમાં જે તૈયારીઓ છે એને લઈને એ બાકીના એશિયાઈ દેશોની સરખામણીમાં ઓછી અને અપૂરતી છે, અવી માહિતી જાણીતા નિષ્ણાત ડૉ. ટી જૈકબ જોનએ આપી છે. તેઓ ઇન્ડિયન કાઉન્સિલ ફૉર મેડિકલ રિસર્ચ સેન્ટરના ઍડ્વાન્સ્ડ રિસર્ચ ઈન વાયરોલૉજી સેન્ટરના ભૂતપૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે. ડૉ. જોને કહ્યું છે કે ભારતનું વાતાવરણ અને જનસંખ્યા આ વાઇરસ ફેલાવવા માટે પર્યાપ્ત છે, કારણ કે અહીં લોકો સારવાર અને ક્વૉરન્ટીનથી બચવા ભાગી રહ્યા છે.