સટ્ટાબજારના મતે બંગાળની હિંસાને લીધે ચૂંટણીમાં હવે ભાજપને ફાયદો
લોકસભાની ચૂંટણીના ૬ તબક્કાનું મતદાન થઈ ચૂક્યું છે. મુંબઈ સટ્ટાબજારમાં ચૂંટણીનો છઠ્ઠો તબક્કો પૂરો થતાં બીજેપીની ૧૦ બેઠકો ઓછી થઈ ગઈ છે. આગલા દિવસે સવાર સુધી પશ્ચિમ બંગાળની ભયાનક રાજકીય હિંસા અને મારઝૂડનો સીધો ફાયદો બીજેપીને મળતો હોવાનું સટ્ટાબજાર માને છે.
સટ્ટાબજારના આકલનના હિસાબે ૨૩૭થી ૨૪૧ સીટ પર બીજેપી સમેટાઈ શકે એમ હતું, પરંતુ હિંસાના સમાચાર આવ્યા બાદ ૪થી ૫ સીટ વધવાની શક્યતા છે. છઠ્ઠા તબક્કાના મતદાન બાદ કૉન્ગ્રેસની ૭૯માંથી ૮૧ બેઠક થઈ ગઈ છે.
ADVERTISEMENT
સટોડિયાઓનું કહેવું છે કે ભાવમાં બહુ ફરક નથી પડ્યો. તમામ બેઠકો પર જે ભાવ ચાલી રહ્યા છે એમાં ફક્ત પાંચથી દસ પૈસાની વધ-ઘટ થશે.
શૅરબજારની અસર નહીં
એક બુકીના કહેવા મુજબ મુંબઈ સટ્ટાબજાર પર શૅરબજાર ઘટવાની અસર થઈ રહી છે. બજારમાં ચર્ચા છે કે ચૂંટણીમાં બીજેપીના ખરાબ પ્રદર્શનથી સેન્સેક્સ ગબડી રહ્યો છે. આ કેટલું સાચું છે એ કહેવું મુશ્કેલ છે, પરંતુ એટલું જરૂર છે કે ચીન-અમેરિકા વચ્ચે આયાત-નિકાસના ફરકથી ચાલી રહેલા આર્થિક યુદ્ધને લીધે ભારતનું શૅરબજાર નીચે આવવાનું મહkવનું કારણ છે એથી શૅરબજાર ઘટવાની અસર સટ્ટાબજાર પર નથી થઈ રહી.
સની દેઓલને સારો ચાન્સ
બુકીના કહેવા મુજબ ગુરદાસપુરમાં ચૂંટણી લડી રહેલા સની દેઓલનો ભાવ બાવીસ પૈસા ચાલી રહ્યો છે.
૧.૭૫ લાખ કરોડ દાવ પર
લોકસભાની ચૂંટણીનો છઠ્ઠો તબક્કો પૂરો થયો ત્યાં સુધી લગભગ ૧ લાખ ૭૫ હજાર કરોડ રૂપિયાના સટ્ટાના સોદા થયા છે. બુકીઓએ જણાવ્યા મુજબ આઇપીએલ ખતમ થવાની સાથે જ સટોડિયા અને પંટરો ચૂંટણીના સટ્ટા તરફ વળ્યા છે જેનો મોટો ફાયદો ચૂંટણી પર સટ્ટો લેનારા બુકીઓને થઈ રહ્યો છે.
ચૂંટણીનો અંતિમ તબક્કો
૨૦૧૯ની ૧૯ મેએ લોકસભાની ચૂંટણીના આખરી એટલે કે સાતમા તબક્કાનું મતદાન પૂરું થશે. આ તબક્કામાં બિહાર (૮), ઝારખંડ (૩), મધ્ય પ્રદેશ (૮), પંજાબ (૧૩), પશ્ચિમ બંગાળ (૯), ચંડીગઢ (૧), ઉત્તર પ્રદેશ (૧૩), હિમાચલ પ્રદેશ (૪) મળીને ૮ રાજ્યોની કુલ ૫૯ બેઠકો પર મતદાન થશે.
આ પણ વાંચોઃ ગોલ્ડ સ્મગલિંગમાં દાઉદના ગુરુ લલ્લુ જોગીનું મૃત્યુ
૨૦૧૯ની ૨૩ મેએ ચૂંટણીનું પરિણામ આવશે. આ પરિણામ મોડી રાત સુધી સંપૂર્ણપણે જાહેર થવાની શક્યતા છે. કેટલીક બેઠકો પર ફરી ગણતરી કરવી પડશે તો બીજા દિવસે લોકસભાની તમામ બેઠકનું રિઝલ્ટ સામે આવી જશે.