શિક્ષિત, સમૃદ્ધ પરિવારોમાં છૂટાછેડાનું પ્રમાણ વધુ : ભાગવત
મોહન ભાગવત
આરએસએસના વડા મોહન ભાગવતે રવિવારે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં છૂટાછેડાના કેસ ‘શિક્ષિત તથા સમૃદ્ધ’ પરિવારમાં વધુ જોવા મળે છે, કારણ કે શિક્ષણ અને સમૃદ્ધિ તોછડાઈ પણ એની સાથે લાવે છે જેને કારણે પરિવારો છિન્ન-ભિન્ન થઈ જાય છે.
તેમણે એમ પણ કહ્યું હતું કે ભારતમાં હિન્દુ સમાજનો કોઈ વિકલ્પ નથી. આરએસએસના સહકુટુંબ ઉપસ્થિત રહેલા કાર્યકરોને ભાગવતે સંબોધ્યા હતા. આરએસએસ દ્વારા જારી કરાયેલી યાદીમાં ભાગવતને એમ કહેતા ટાંક્યા હતા કે ‘વર્તમાન સમયમાં છૂટાછેડાનું પ્રમાણ ઘણું જ વધી ગયું છે. લોકો નજીવી બાબતો પર તકરાર કરે છે. શિક્ષિત અને સમૃદ્ધ પરિવારોમાં છૂટાછેડાના કેસ વધુ જોવા મળે છે, કારણ કે શિક્ષણ અને સમૃદ્ધિની સાથે ઉદ્ધતાઈ આવે છે જેના કારણે પરિવારો તૂટી જાય છે. સમાજ પણ વિખૂટો પડી જાય છે, કારણ કે સમાજ પણ એક પરિવાર જ છે.’
ADVERTISEMENT
તેમણે જણાવ્યું હતું કે ‘અમે સ્વયંસેવકો પાસેથી અપેક્ષા રાખીએ છીએ કે તેઓ તેમના પરિવારજનોને સંઘમાં તેમની પ્રવૃત્તિઓ વિશે જણાવે, કારણ કે ઘણી વખત પરિવારની મહિલા સભ્યો આપણે જે કરીએ છીએ તે કરી શકે, તે સુનિશ્ચિત કરવા માટે આપણા કરતાં વધુ પીડાદાયક કામગીરી હાથ ધરવી પડતી હોય છે.’