લૉકડાઉનમાં માર્ચથી જુલાઈ દરમ્યાન દેશની અદાલતોમાં ૧૮ લાખ કેસ ફાઇલ થયા
પ્રતીકાત્મક તસવીર
કોરોનાને કારણે લૉકડાઉન જાહેર કરાયા પછી માર્ચથી જુલાઈ મહિનાના સમયગાળામાં સમગ્ર ભારતની અદાલતોમાં ૧૮,૦૩,૩૨૭ કેસ ફાઇલ કરવામાં આવ્યા હોવાનું અને એમાંથી ૭,૯૦,૧૧૨ કેસનો નિકાલ કરાયો હોવાનું જાણવા મળ્યું છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ ધનંજય ચંદ્રચૂડે નાશિકના ઈ-ગવર્નન્સ સેન્ટરનું વિડિયો-કૉન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન (વર્ચ્યુઅલ ઇનોગ્યુરેશન) કરતી વખતે જણાવ્યું હતું કે એ સમયગાળામાં મહારાષ્ટ્રની જિલ્લા અદાલતોમાં ૨,૨૨,૪૩૧ કેસ ફાઇલ કરાયા હતા અને એમાંથી ૬૧,૯૮૬ કેસનો નિકાલ થયો હતો.
ધનંજય ચંદ્રચૂડે જણાવ્યું હતું કે ‘વિડિયો-કૉન્ફરન્સિંગ દ્વારા અદાલતી કાર્યવાહી એટલે કે વર્ચ્યુઅલ કોર્ટ્સ અસાધારણ સંજોગોમાં શરૂ કરવામાં આવી હતી. એ હંમેશ માટે ચાલુ રાખવામાં નહીં આવે અને અનુકૂળતા થતાં ફિઝિકલ કોર્ટ્સ શરૂ કરવામાં આવશે. જોકે સાર્વજનિક આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતોની સલાહ અનુસાર વર્ચ્યુઅલ કોર્ટ્સને વિદાય આપીને ફિઝિકલ કોર્ટ્સ શરૂ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.’