કાળઝાળ ગરમીને કારણે ટ્રેનમાં મુસાફરી કરનારા ચારનાં મોત
ફાઈલ ફોટો
વેકેશનમાં ભીષણ ગરમી વચ્ચે પણ ટ્રેનોમાં મુસાફરી કરનારાઓનો ભારે ધસારો છે. જોકે ગરમી ટ્રેનમાં બેઠેલા લોકોનો ભોગ લઈ રહી છે. આવા જ એક કિસ્સામાં દિલ્હીથી ઝાંસી જઈ રહેલી કેરાલા એક્સપ્રેસમાં ચાર વ્યક્તિઓના અસહ્ય ગરમીના કારણે શ્વાસ રુંધાઈ જતાં મોત નીપજ્યાં છે. આ વ્યક્તિઓ આગ્રાથી કોઈમ્બતુર જઈ રહેલા ૬૮ લોકોના ગ્રુપમાં સામેલ હતા. તેઓ ફરવા માટે આવ્યા હતા અને પાછા જઈ રહ્યા હતા.
રેલવે અધિકારીઓના કહેવા પ્રમાણે ટ્રેનના જી-૮ કોચ અને જી-૯માં ગરમીના કારણે ઘણા લોકોની તબિયત બગડી હોવાની સૂચના મળી હતી. જેના પગલે ઝાંસી રેલવે સ્ટેશન પર ટ્રેન ઊભી રહી ત્યારે ડૉક્ટરો ડબ્બામાં મુસાફરોને ચેક કરવા માટે ચઢ્યા હતા.
ADVERTISEMENT
આ પણ વાંચો: સુપ્રીમનો યોગી પર ટિપ્પણી કરનાર પત્રકારને તાત્કાલિક છોડી મૂકવાનો આદેશ
આ બે કોચમાં ચાર વ્યક્તિઓ કફોડી હાલતમાં મળી હતી. જેમાંથી ત્રણનાં મોત થઈ ચૂક્યાં હતાં અને એકની હાલત ગંભીર હતી. જેનું સારવાર દરમિયાન હૉસ્પિટલમાં મોત થયું હતું. આ ચારે વ્યક્તિઓ સિનિયર સિટિઝન હતા. આ પહેલાં પણ ટ્રેનમાં અસહ્ય ગરમીના કારણે એક યુવતીનું આ જ રૂટ પર મોત થયું હતું. દેશમાં ભીષણ ગરમી પડી રહી છે અને હજી એક સપ્તાહ સુધી તેમાંથી લોકોને છુટકારો મળવાનો નથી. કારણકે કેરાલામાં પહોંચેલા ચોમાસાને પશ્ચિમ અને મધ્ય ભારત સુધી પહોંચતા સાત દિવસ તો લાગશે.