નુકસાનમાં જતી એર ઈન્ડિયા પાંચ દેશોની ફ્લાઈટ સર્વિસ અને ઓફિસ બંધ કરશે
પ્રતિકાત્મક તસવીર
સતત નુકસાનનો સામનો કરી રહેલી સરકારી એરલાઈન એર ઇન્ડિયાએ પાંચ દેશોમાં પોતાની ફ્લાઈટ સર્વિસ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ આ દેશોમાં ઓફિસ પણ બંધ કરી દેવામાં આવશે. સતત થઈ રહેલી નુકસાનીના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ દેશોમાં કોપનહેગન (ડેનમાર્ક), મિલાન (ઇટાલી), સ્ટોકહોમ (સ્વીડન), મેડ્રિડ (સ્પેન) અને વિઆના (પોર્ટુગલ)નો સમાવેશ થાય છે. કોરોના મહામારી આવી તે પહેલા આ પાંચ દેશો માટે ફ્લાઈટ્સ જતી હતી. પરંતુ હવે ત્યાં કાર્યરત એર ઈન્ડિયાના કર્મચારીઓને પાછા બોલાવવામાં આવી રહ્યાં છે.
આર્થિક નુકસાનની સાથે મુસાફરોની સંખ્યામાં ઘટાડો થવાને કારણે એર ઈન્ડિયાએ ઓછામાં ઓછા પાંચ યુરોપિયન સ્થળોએ ફ્લાઇટ્સ અટકાવવાનો નિર્ણય લીધો છે. આ પાછળનું મોટું કારણ આવકનું નુકસાન છે. કોરોના મહામારી અને લૉકડાઉનને લીધે એરલાઈન ઉદ્યોગની હાલત કફોડી બની છે. હાલમાં, એરલાઇન ઉદ્યોગ જેમતેમ કરીને પોતાનો રેવન્યુ કાઢવાનો પ્રયત્ન કરે છે. ઘરેલું ફ્લાઇટ્સ પણ ત્રીજા ભાગની ક્ષમતા સાથે કાર્યરત છે. જ્યારે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ હજી પણ બંધ છે.
ADVERTISEMENT
એર ઈન્ડિયા આર્થિક પડકારનો સામનો કરી રહી છે. એરલાઈન્સ પર લગભગ 70,000 કરોડનું મોટું દેવું છે. આવી પરિસ્થિતિમાં, એરલાઈન સતત તેના ઓપરેશનલ ખર્ચને ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તાજેતરમાં જ કંપનીએ તેના કર્મચારીઓને પાંચ વર્ષના પગાર વિના રજા પર મોકલવાનો નિર્ણય કર્યો છે. ઉપરાંત, કંપનીએ કર્મચારીઓને અપાયેલા ભથ્થામાં 50 ટકા ઘટાડો કર્યો હતો.
ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશને (IATA) જુલાઈમાં અંદાજ લગાવ્યો હતો કે, વૈશ્વિક સ્તરે પેસેન્જર ટ્રાફિકને કોરોના પહેલાં જેવા અને સામાન્ય સ્તરે પહોંચવામાં ઓછામાં ઓછા ચાર વર્ષ લાગશે. એટલે કે, 2024 પહેલા મુસાફરોની સંખ્યામાં વધારો કરવો મુશ્કેલ છે. IATAએ કહ્યું કે 2020માં વૈશ્વિક પ્રવાસીઓની સંખ્યામાં 2019ની તુલનામાં 55 ટકાનો ઘટાડો થવાની સંભાવના છે.