ગણેશોત્સવની ઉજવણી માટે મહારાષ્ટ્ર સરકારે જાહેર કરી આ વિશેષ ગાઈડલાઈન્સ
ફાઈલ તસવીર
કોરોના વાયરસ (COVID-19)ની અસર જીવનના દરેક તબક્કે થઈ રહી છે. ધર્મ અને આસ્થા પણ તેનાથી બાકાત નથી. ગણેશોત્સવની ઉજવણી પણ નહીં! રાજ્યમાં આ વર્ષે ગણેશોત્સવની ઉજવણી સાદાઈથી કરવી તેવી જાહેરાત મહારાષ્ટ્ર સરકારે બહુ પહેલા જ કરી દીધી હતી અને હવે ઉત્સવની ઉજવણી માટે વિશેષ ગાઈડલાઈન્સ બહાર પાડી છે. આ ગાઈડલાઈન્સનું પાલન કરીને જ ઉજવણી કરવી તેવી સરકારે અપીલ કરી છે.
મહારાષ્ટ્ર સરકારે જાહેર કરેલી ગાઈડલાઈનમાં ભાર પૂર્વક કહેવામાં આવ્યું છે કે, ગણેશજીની પ્રતિમા સાર્વજનિક સ્થળોએ 4 ફીટ અને ઘરમાં 2 ફીટની રખાશે. ગણેશ વિસર્જન પર રોક લગાવવામાં આવી છે. તેને આવતા વર્ષે વિસર્જિત કરાશે. આ સાથે પૂજા પંડાલમાં ભવ્ય સજાવટ પર પણ પ્રતિંબધ રખાયો છે. ગૃહ પ્રધાન અનિલ દેશમુખે લોકોને અપીલ કરી છે કે, ગણેશોત્સવ દરમિયાન ગાઈડલાઈનનું સંપૂર્ણ રીતે પાલન કરવામાં આવે.
ADVERTISEMENT
ગણેશોત્સવની ઉજવણીની ગાઈડલાઈનના આ છે નિયમો:
- પૂજા પહેલાં ગણેશ મંડળોએ નગર નિગમ અને સ્થાનિક તંત્રની પરવાનગી લેવાની રહેશે.
- દરેક પંડાલમાં પેવેલિયન બનાવાશે. પૂજા સાધારણ રીતે અને ઓછી સજાવટ સાથે કરાશે.
- સાર્વજનિક સ્થળોએ 4 ફીટ અને ઘરોમાં 2 ફીટની મૂર્તિની સ્થાપના કરી શકાશે.
- મેટલ, માર્બલની મૂર્તિઓ પર ભાર મૂકાયો છે. પર્યાવરણ ફ્રેન્ડલી મૂર્તિને ઘરમાં સ્થાપિત કરાશે.
- આ વર્ષે ગણેશ વિસર્જન પર રોક રહેશે. આવતા વર્ષે તેમનું વિસર્જન કરી શકાશે.
- પૂજા સમયે સાંસ્કૃતિક કાર્યક્રમોને બદલે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા શિબિરનું આયોજન કરાશે. જેવી કે, બ્લડ ડોનેશન, કોરોના, મેલેરિયા, ડેન્ગ્યૂથી બચવાના ઉપાય માટે જાગરૂકતા.
- આરતી, ભજન અને ધાર્મિક કાર્યક્રમમાં ભીડ એકઠી ન થાય અને સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન થાય તે જરૂરી રહેશે.
- ધ્વનિ પ્રદૂષણ પર પણ ધ્યાન અપાશે.
- ગણેશ દર્શન માટે ઓનલાઈન વ્યવસ્થા કરવી જેને કેબલ નેટવર્ક કે ફેસબુક જેવા માધ્યમથી લોકોને લાભાન્વિત કરી શકાશે.
- ગણપતિ મંડપનું સેનેટાઈઝેશન થતું રહે અને સાથે જ અહીં થર્મલ સ્ક્રીનિંગની પણ વ્યવસ્થા હોવી જરૂરી છે. શ્રદ્ધાળુઓએ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે. મંડપમાં સેનેટાઈઝરની પણ વ્યવસ્થા જરૂરી રહેશે.
- ભગવાનના આગમન અને વિસર્જનમાં જૂલૂસ કાઢી શકાશે નહીં. વિસર્જન સમયે જે આરતી થાય છે તે પણ ઘરમાં જ કરાશે. વિસર્જન સ્થળ ટૂંક સમયમાં જ બંધ કરી દેવાશે. બાળકો અને વૃદ્ધો વિસર્જન સ્થળે જઈ શકશે નહીં.
- નગર નિગમ, અલગ અલગ બોર્ડ, હાઉસિંગ સોસાયટી, એનજીઓની મદદથી કૃત્રિમ તળાવ તૈયાર કરાશે જેમાં વિસર્જન કરી શકાશે.