કોરોના સામે ડ્રોનની ફોજ?
કોરોના વાઇરસથી બચવા માટે વ્યક્તિગત, સાર્વજનિક અને કાર્યસ્થળની સ્વચ્છતાને પ્રાધાન્ય આપવાની નીતિના અમલ સાથે આરોગ્ય નિષ્ણાતોએ વાઇરસનાશક દવાના છંટકાવ માટે ડ્રોન્સ અને પહોળા પાઇપવાળી કૅનનના વપરાશનું સૂચન કર્યું છે. ઘાતક વાઇરસના નાશ માટે મુંબઈનનાં રેલવે-પ્લૅટફૉર્મ્સ, મેટ્રો સ્ટેશન્સ, બજારો તથા અન્ય સાર્વજનિક સ્થળએ ઉક્ત બે સાધનો વડે દવાના છંટકાવની વિચારણા મુંબઈ મહાનગરપાલિકા અને મહારાષ્ટ્ર સરકારના અધિકારીઓએ શરૂ કરી છે. જોકે મુંબઈમાં ડિસઇન્ફેક્ટન્ટ્સ છંટાઈ રહ્યાં છે.
સાર્વજનિક આરોગ્ય અને પરિવાર કલ્યાણ ખાતાના પ્રધાન રાજેન્દ્ર પાટીલે જણાવ્યું હતું કે ‘તોફાની ટોળાંને હટાવવા માટે વપરાતી પહોળા પાઇપવાળી વૉટર-કૅનન તેમ જ ડ્રોન્સના માધ્યમથી વાઇરસનાબૂદીની દવાના છંટકાવનું સૂચન નિષ્ણાતો તરફથી પ્રાપ્ત થયા પછી તરત રાજ્ય સરકારના અમલદારો રેલવે, સ્ટેટ ટ્રાન્સપોર્ટ અને મેટ્રો રેલવે જેવાં તંત્રોના વરિષ્ઠ અધિકારીઓને મળ્યા હતા. એ મુલાકાતમાં સંબંધિત તંત્રોનાં સાર્વજનિક સ્થાનો અને ક્ષેત્રોને દવાઓ વડે સ્વચ્છ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. ડ્રોન અને કૅનનના વપરાશ વિશે જરૂરિયાત અને પરિસ્થિતિ અનુસાર નિર્ણય લેવામાં આવશે.’
ADVERTISEMENT
મુંબઈ મહાનગરપાલિકાનાં જાહેર આરોગ્ય ખાતાનાં કાર્યકારી અધિકારી ડૉ. પદ્મજા કેસકરે જણાવ્યું હતું કે ડિસઇન્ફેક્શન વિશે ઉપરીઓના આદેશની રાહ જોઈએ છીએ, પરંતુ પાલિકાની હૉસ્પિટલોના વૉર્ડ અને દરદીઓના મુલાકાતીઓના ભાગની સફાઈ તથા ડિસઇન્ફેક્શનની કાર્યવાહી વેગવાન બનાવવામાં આવી હોવાનું જૉઇન્ટ મ્યુનિસિપલ કમશિનર સુનીલ ધામણેએ જણાવ્યું હતું. શનિવારે યોજાયેલી બેઠકમાં રોગચાળો ટાળવાની કાર્યવાહીનાં જુદાં-જુદાં પાસાંની ચર્ચા કરવામાં આવી હતી. જોકે સાર્વજનિક સ્થળોના ડ્રોન વડે ડિસઇન્ફેક્શન વિશે કોઈ નિર્દેશ અપાયો નથી. જો રાજ્યસ્તરે એવું આયોજન હશે તો રેલવે અને મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશન જેવાં તંત્રો એનો અમલ કરશે.’
સિનિયર ફિઝિશ્યન અને ઍલર્જી સ્પેશ્યલિસ્ટ ડૉ. વકાર શેખે જણાવ્યું હતું કે ‘હાલમાં લોકોને તમામ સ્તરે નિયમિત રીતે અને નિષ્ઠાપૂર્વક વ્યક્તિગત, સાર્વજનિક અને કાર્યસ્થળની સ્વચ્છતાનું મહત્ત્વ સમજાવીને એ વિશે જાગ્રત કરવાની જરૂર છે. એને કારણે ફક્ત કોરોના નહીં, તમામ પ્રકારના સંસર્ગજન્ય રોગોનો પ્રસાર રોકી શકાશે.’
જસલોક હૉસ્પિટલના ચેપી રોગોના નિષ્ણાત ડૉ. ઓમ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે ‘કેટલીક પ્રાઇવેટ હૉસ્પિટલો નૅશનલ ઍક્રિડિટેશન બોર્ડ ઑફ હૉસ્પિટલ્સ ઍન્ડ હેલ્થ કૅર પ્રોવાઇડર્સની મંજૂરી ધરાવતી દવાઓ-ડિસઇન્ફેક્ટન્ટ્સનો છંટકાવ કરવા માંડ્યો છે. ડિસઇન્ફેક્ટન્ટ્સ રોગો ફેલાવતા કોઈ પણ પ્રકારના બૅક્ટેરિયા કે વાઇરસને ખતમ કરી શકે છે. આપણે જેટલા વધારે પ્રમાણમાં ડિસઇન્ફેક્ટન્ટ્સ છાંટીએ એટલા વધારે પ્રમાણમાં બે વ્યક્તિઓના સંપર્ક દ્વારા રોગ ફેલાતો રોકી શકાય છે. હૉસ્પિટલોમાં સોડિયમ હાઇપો ક્લોરાઇટ અને બેસિલોસિડ જેવાં ડિસઇન્ફેક્ટન્ટ સ્પ્રે કરાય છે.