‘વિજય રૂપાણીની ખુરસી જોખમમાં’ની વાતોમાં તથ્ય છે કે પછી સાવ ગપગોળા?
વિજય રૂપાણી (ફાઇલ ફોટો)
ગુજરાતમાં છેલ્લે સુધી કાબૂમાં રહેલા કોરોના વાઇરસે છેલ્લા બે દિવસથી જે પ્રકારે વિકરાળ સ્વરૂપ ધારણ કરવાનું શરૂ કર્યું છે એ જોઈને કેન્દ્ર સરકાર દ્વારા સરકારની કામગીરીની સમીક્ષા કરવાનું શરૂ કર્યું અને એ પછી કેટલીક મહત્ત્વની ઍક્શન પણ લીધી, પરંતુ એ ઍક્શનની સાથોસાથ પાછલા બારણેથી બીજી તૈયારીઓ આદરી દીધાનું પણ કહેવાઈ રહ્યું છે. જો વાત સાચી હોય તો બીજેપી કોર કમિટી ગુજરાત સરકારની કામગીરીથી નારાજ છે અને એ નારાજગીના ભાવરૂપે જ એણે ગુજરાત સરકારમાં ફેરબદલ કરવાનો નિર્ણય કરીને વિજય રૂપાણીનો ઑપ્શન શોધવાનું શરૂ કરી દીધું અને એ રેસમાં મનસુખ માંડવિયા સૌથી આગળ છે, તો તેમની સાથોસાથ પરષોત્તમ રૂપાલાનું નામ પણ મુખ્ય પ્રધાનપદ માટે મહત્ત્વનું ગણવામાં આવે છે.
મનસુખ માંડવિયા અત્યારે રાજ્ય સરકારના શિપિંગ અને કેમિકલ-ફર્ટિલાઇઝર ખાતાનું પ્રધાનપદ સંભાળે છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદથી પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરનાર મનસુખભાઈ ગુજરાતના સૌથી યંગ વિધાનસભ્યનો રેકૉર્ડ ધરાવે છે. બીજા નંબરે જેમનું નામ મુખ્ય પ્રધાનપદ માટે ચર્ચાઈ રહ્યું છે એ પરષોત્તમ રૂપાલા ખેડૂતોના નેતા તરીકે ગુજરાતભરના પાટીદારોમાં સ્વીકાર્ય છે. ગુજરાત બીજેપીના સિનિયર નેતા અને ભૂતપૂર્વ પ્રમુખ જિતુભાઈ વાઘાણીએ કહ્યું કે ‘ના, આવી કોઈ વાત નથી, આ બધા ગપગોળા છે.’
માંડવિયાએ પણ ગઈ કાલે મોડી સાંજે ટ્વીટ કરીને કહ્યું કે નેતૃત્વ-પરિવર્તનની અફવા ફેલાવવી એ ગુજરાતના હિતને નુકસાન કરવાનું કૃત્ય છે.