દિશા સૅલિયનના ફિઆન્સેને સીબીઆઇ પૂછપરછ માટે બોલાવશે
દિશા સૅલિયન
સુશાંત સિંહ રાજપૂતની ભૂતપૂર્વ મૅનેજર દિશા સૅલિયનના મંગેતર રોહન રાયના ઠામઠેકાણા વિશે મુંબઈ પોલીસ માહિતગાર હોવાનો દાવો આધારભૂત સૂત્રોએ કર્યો હતો. રોહન રાય મુંબઈ પોલીસની પરવાનગી લઈને શૂટિંગ માટે બહારગામ ગયો હોવાથી શહેરનું પોલીસ તંત્ર એનું હાલનું ઠેકાણું જાણતી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. સુશાંત અપમૃત્યુ કેસની તપાસ કરતાં સીબીઆઇના અધિકારીઓએ પૂછપરછ માટે બોલાવવા માટેના લોકોની યાદીમાં રોહન રાય સમાવિષ્ટ છે. તેથી સીબીઆઇએ રોહનને પૂછપરછ માટે બોલાવવા મુંબઈ પોલીસ પાસે માહિતી માગવી પડે એવી શક્યતા છે.
બીજેપીના નેતા નિતેશ રાણેએ કેન્દ્રના ગૃહ પ્રધાનને લખેલા પત્રને કારણે આ મુદ્દો ઉપસ્થિત થયો હતો. નિતેશ રાણેએ પત્રમાં જણાવ્યું હતું કે તેમણે દિશા સૅલિયનના મૃત્યુના પખવાડિયા પછી રોહન સાથે વાત કરી હતી અને રોહન ૮ જૂને દિશાના મૃત્યુ પૂર્વેની ઘટના સંદર્ભે બધું જાણે છે.
ADVERTISEMENT
દરમ્યાન દિશા સૅલિયને મૃત્યુ પૂર્વે ૧૦૦ નંબર પર પોલીસને ફોન કર્યો હોવાના દાવાને મુંબઈ પોલીસે રદિયો આપ્યો હતો. દિશાએ મૃત્યુ પૂર્વે એની ફ્રેન્ડ અંકિતાને ફોન કર્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. દિશાના મૃત્યુ વિશે ફેલાતી અફવાઓ બાબતે ગયા મહિને તેના પિતા સતીશ સૅલિયને માલવણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા પછી પોલીસે તપાસ શરૂ કરી હતી. એ તપાસના ભાગરૂપે પોલીસે બયાનો નોંધવાનું શરૂ કર્યું છે.
૮ જૂને દિશાના ઘરે પાર્ટી દરમ્યાન એની સાથે ચાર જણે શારીરિક છેડતી કરી હોવાનું એક સાક્ષીએ ટીવી ચૅનલ સમક્ષ જણાવ્યું હતું. પાર્ટીમાં દિશાના મંગેતર રોહન રાય સહિત અન્ય છ જણ હાજર હતા. સાક્ષીએ જણાવ્યા અનુસાર પાર્ટીમાં મ્યુઝિક એટલું ઘોંઘાટિયું હતું કે એમાં દિશા ૧૪મા માળેથી કૂદીને નીચે પડી ત્યારની ચીસ સંભળાઈ નહોતી. દિશા ૮ જૂને મૃત્યુ પામી હતી.