ફડણવીસનો દાવો : અજીત પવારના પગલા વિશે શરદ પવારને હતી માહિતી
દેવેન્દ્ર ફડણવીસ
વિધાનસભાના પરીણામના લાંબા સમય બાદ મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને NCP ની સરકાર બની છે. ત્યારે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રવિવારે દાવો કર્યો કે સરકારની રચના માટે NCP નેતા અજીત પવાર ભાજપ સાથે હાથ મિલાવા હતા, તેમના આ પગલા વિશે NCP અધ્યક્ષ શરદ પવારને પણ માહિતી હતી. સરકારની રચના માટે અજીત પવારે NCP ધારાસભ્યોના સમર્થનનો દાવો કર્યો હતો. ત્યારબાદ તેઓ ફડણવીસને મળ્યા હતા. 23 નવેમ્બરની સવારે રાજભવનમાં ફડણવીસે મુખ્યમંત્રી અને અજીતે ડે.સીએમ પદના શપથ લીધા હતા. ત્રણ દિવસની અંદર જ અજીત અને દેવેન્દ્ર ફડણવીસે પદ પરથી રાજીનામું આપી દીધું હતું. રાજ્યમાં NCP-કોંગ્રેસ-શિવસેના ગઠબંધનની સરકાર બની અને ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બન્યા હતા.
‘હું જાણું છું આ જુગાર હતો પણ રાજકારણમાં આ જરૂરી છે’
ફડણવીસે એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, અજીત પવારે મને કહ્યું હતું કે, મોટાભાગના NCPના ધારાસભ્ય ભાજપ સાથે જવા માંગે છે, કારણ કે તેમને લાગતું હતું કે, કોંગ્રેસ સાથે ગઠબંધન શક્ય ન હતું. પરિણામોની જાહેરાતના એક મહિના સુધી, જ્યાં સુધી અજીત અમને મળવા નહોતા આવ્યા, અમે ક્યારેય ધારાસભ્યોને તોડવા અથવા કોઈ પક્ષમાં ભાગલા પડાવવાનો પ્રયાસ કર્યો ન હતો. શપથ લેવાના ત્રણ દિવસ પહેલા અજીત આવ્યા અને કહ્યું કે, NCP નેતા સરકાર બનાવવા માટે ભાજપ સાથે હાથ મિલાવવા તૈયાર છે. તેમણે ઘણા ધારાસભ્યો સાથે વાતચીત પણ કરાવી હતી. તેમણે એવું પણ કહ્યું હતું કે, શરદ પવારને આ પગલા વિશે જાણ છે. હું જાણું છું કે આ એક જુગાર છે, પણ રાજકારણમાં આવી રમત રમવી જરૂરી છે, જો કે આ મામલે હું નિષ્ફળ નિવડ્યો છું.