વિપક્ષને ફટકો : સો ટકા વીવીપીએટીની ચકાસણીની અરજી ફગાવી દીધી સુપ્રીમે
સુપ્રીમ કોર્ટ
લોકસભાની ચૂંટણીનાં પરિણામો સામે આવે એ પહેલાં જ પોતપોતાની ચૂંટણીની સંભાવનાઓને લઈને આશંકિત વિપક્ષને ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન (ઈવીએમ)ના મુદ્દે બેવઝો ઝાટકો લાગ્યો છે. વોટર વેરિફાઇડ પેપર ઑડિટ ટ્રાયલ (વીવીપીઇટી)ને ઈવીએમ સાથે ૧૦૦ ટકા મેળવવાની માગણી કરતી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે, એટલું જ નહીં, વડી અદાલતે અરજીકર્તાઓને બરાબરના ખખડાવતાં કહ્યું છે કે આ પ્રકારની અરજીઓને વારંવાર સાંભળી ન શકાય.
વિરોધ પક્ષોએ એકસાથે મળીને ચૂંટણીપંચને ઈવીએમની ફરિયાદ કરવાનો નિર્ણય કર્યો છે, તો ચૂંટણીપંચે ઉત્તર પ્રદેશના ૪ મામલાઓમાં વિપક્ષની આશંકાઓને ફગાવી દીધી છે અને કહ્યું છે કે ઈવીએમ એકદમ સુરક્ષિત છે અને એમાં વિશ્વાસ ટકાવી રાખો.
ADVERTISEMENT
ટેક્નૉક્રેટ્સના એક ગ્રુપે સુપ્રીમ કોર્ટમાં અરજી કરતાં માગણી કરી હતી કે વેરિફિકેશન માટે તમામ ઈવીએમની વીવીપીએટી સાથે સરખામણી કરવી જોઈએ. જોકે સુપ્રીમ કોર્ટે આ અરજીને ફગાવતાં કહ્યું છે કે આ મેરિટ આધારિત નથી. આ દરમ્યાન ચૂંટણીપંચે પણ ઉત્તર પ્રદેશમાં ઈવીએમની સુરક્ષાને લઈને વિરોધ પક્ષ તરફથી ઉઠાવવામાં આવેલા પ્રશ્નોને ફગાવી દીધા છે.
ચૂંટણીપંચે કહ્યું હતું કે તમામ મુદ્દે ઈવીએમ અને વીવીપીએટીને પાર્ટીઓના ઉમેદવારો સામે સારી રીતે સીલ કરવામાં આવ્યાં હતાં અને એની વિડિયોગ્રાફી પણ કરવામાં આવી હતી. માટે હવે કરવામાં આવી રહેલા આરોપો પાયાવિહોણા છે, એટલું જ નહીં, ચૂંટણીપંચે વિપક્ષ તરફથી ગાઝીપુર, ચંદૌલી, ડુમરિયા ગંજ અને ઝાંસીની બેઠકો પર ઈવીએમની સુરક્ષાને લઈને ફરિયાદ કરી હતી. ઉત્તર પ્રદેશના મુખ્ય ચૂંટણી કમિશનરે નિવેદન જાહેર કરીને રાજકીય પક્ષોને કહ્યું હતું કે ઈવીએમ તદ્દન સુરક્ષિત છે, તેના પર વિશ્વાસ બનાવી રાખો. આ દરમ્યાન બીજેપીએ પણ ટોણો મારતાં કહ્યું હતું કે વિપક્ષ પરાજયના ડરે ઈવીએમનાં બહાનાં બનાવી રહ્યો છે.
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરી રહેલી બેન્ચમાં સામેલ જસ્ટિસ અરુણ મિશ્રાએ અરજીકર્તાઓને બરાબરના ખખડાવતાં કહ્યું હતું કે આ પ્રકારની અરજીઓ પર અમે વારંવાર મનોરંજન નહીં કરીએ. અમે લોકો દ્વારા જનપ્રતિનિધિઓનીએ પસંદગી કરવાની પદ્ધતિની આડે ન આવી શકીએ. સાથે જ વડી અદાલતે આ પ્રકારની અરજીઓને માત્ર ને માત્ર ઉપદ્રવ અને ચર્ચાનું હથિયાર જ ગણાવ્યું હતું.
કાઉન્ટિંગ પહેલા વીવીપૅટ સ્લિપની ચકાસણીની વિપક્ષોનો માગ
એક્ઝિટ પોલ્સના પરિણામમાં એનડીએને બહુમત મળતાં વિપક્ષી દળ ઈવીએમ પર સવાલ ઉઠાવી રહ્યાં છે. તેઓ ૫૦ ટકા ઇવીએમ અને વીવીપીએટીની અરજી મેળવવાની માગ કરી રહ્યાં છે. આ વિશે બાવીસ વિપક્ષી દળના નેતાઓ ચૂંટણી પંચને મળ્યા હતા.
વિપક્ષી નેતાઓએ કહ્યું કે વીવીપૅટની સ્લિપને મેળવવાનું કામ મતની ગણતરીની પહેલાં જ થાય, બાદમાં નહીં. કોઈ પણ વિધાનસભા ક્ષેત્રમાં ચૂંટાયેલાં પાંચ પોલિંગ સ્ટેશનો પર કોઈ પણ ગરબડ મળે તો ૧૦૦ ટકા વીવીપૅટ સ્લિપને મેળવવામાં આવે.