નિર્ભયાને ન્યાય ક્યારે? નરાધમોને હવે બાવીસમીએ ફાંસી નહીં
આરોપીઓ
દયાની અરજી નકારી કાઢ્યા પછી પણ નરાધમોને ૧૪ દિવસનો સમય મળશે, મુકેશ નામના દોષીએ રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજી કરતાં નવો વળાંક આવ્યો.
દિલ્હીના નિર્ભયાકેસમાં ૪ નરાધમોને બાવીસમી જાન્યુઆરીએ ફાંસી આપવાના મામલામાં વધુ એક કાનૂની દાવપેચ આડે આવ્યો છે. જોકે ફાંસીની સજા રદ થવાની કોઈ શક્યતા નથી, પણ બાવીસમીએ ૪ નરાધમોને ફાંસી નહીં અપાય એ નક્કી થઈ ગયું હોવાના સંજોગોનું નિર્માણ થયું છે. ૪ નરાધમો પૈકીના એક મુકેશે સુપ્રીમ કોર્ટે તેની ક્યુરેટિવ પિટિશન ફગાવી દીધા બાદ મંગળવારે છેલ્લા બચાવ તરીકે વકીલ દ્વારા રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજી કરીને એની જાણ કોર્ટને કરીને ફાંસી રોકવાની દાદ માગતાં સમગ્ર કેસમાં વધુ એક વળાંક આવ્યો હતો. રાષ્ટ્રપતિ દયાની અરજી ધારો કે ગઈ કાલે ૧૫મીએ ફગાવે કે જ્યારે પણ ફગાવે તો પણ એ પછી મુકેશને ૧૪ દિવસની તક મળે એમ હોવાથી બાવીસમીએ ફાંસી નહીં અપાય એમ સૂત્રોએ જણાવ્યું હતું. એ સાથે આખરે ૮ વર્ષ પહેલાં દિલ્હીમાં ચાલતી બસમાં આ નરાધમોના ગૅન્ગરેપનો શિકાર બન્યા બાદ જેમણે જીવ ગુમાવ્યો તે નિર્ભયા નામની મેડિકલની એક છાત્રાને, કાયદાની આંટીઘૂટીમાં વારંવાર કેસને લઈ ઢસડી જતા નરાધમોને ફાંસીના માંચડે ચડાવીને પીડિતાને આખરે ક્યારે ન્યાય મળશે એવો સવાલ પણ ઉદ્ભવી રહ્યો છે. દરમ્યાનમાં દિલ્હીની તિહાડ જેલમાં આ નરાધમોને ફાંસીના માંચડે લટકાવવાની જલ્લાદ સહિતની તમામ તૈયારીઓ થઈ ગઈ છે.
ADVERTISEMENT
મંગળવારે સુપ્રીમ કોર્ટે નરાધમોની ક્યુરેટિવ પિટિશન રદ કરતાં બાવીસમીએ નિર્ભયાના દોષીઓને હવે ફાંસીના માંચડે લટકાવતાં કોઈ અડચણ નથી એમ સૌકોઈને લાગી રહ્યું હતું, પરંતુ કાયદામાં રહેલી જોગવાઈ કે છટકબારીનો લાભ લઈને મુકેશ નામના એક દોષીએ ગઈ કાલે જ રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજી કરી નાખી હતી અને આજે સુનાવણી વખતે નિર્ભયા ગૅન્ગરેપ કેસમાં આરોપી મુકેશ કુમારે ટ્રાયલ કોર્ટના ડેથ વૉરન્ટને રન કરવાની માગ કરી હતી. દિલ્હી હાઈ કોર્ટમાં સુનાવણી દરમ્યાન એએસજી અને દિલ્હી સરકારના વકીલે કહ્યું કે નિર્ભયાના દોષીઓને બાવીસમી જાન્યુઆરીએ ફાંસી આપવાનો નિર્ણય ટળી શકે છે. રાષ્ટ્રપતિ દ્વારા દયા અરજી અંગે ચુકાદો આપ્યા પછી દોષીઓને કાયદાકીય રીતે ૧૪ દિવસનો સમય આપવાનો હોય છે.
તેની અરજી પર ગઈ કાલે બુધવારે દિલ્હી હાઈ કોર્ટના જસ્ટિસ મનમોહન અને જસ્ટિસ સંગીતા ધીંગરાની બેન્ચે સુનાવણી કરી હતી. આ સાથે જ નિર્ભયાની માતા આશા દેવીએ કહ્યું કે આરોપી જે થાય એ કરી લે, પણ હવે આ કેસમાં બધું સ્પષ્ટ છે. સુપ્રીમ કોર્ટ અને હાઈ કોર્ટથી કંઈ જ છૂપું રહ્યું નથી. આશા છે કે મુકેશની માગણી રાષ્ટ્રપતિ ફગાવી દેશે.
આ પણ વાંચો : એક તપેલામાં પાંચ કલાકની મહેનતે બનાવવામાં આવી રેકૉર્ડબ્રેક 1995 કિલો ખીચડી
સૂત્રોએ કહ્યું કે ફાંસીની સજા રદ કરીને તેમને જન્મટીપની સજા આપવાનું કોઈ પગલું રાષ્ટ્રપતિ દ્વારા લેવાય એવી કોઈ શક્યતા નથી. આ એક એવો કેસ છે કે જે ભારતના અપરાધના ઇતિહાસમાં નોંધાઈ ગયો છે અને આરોપીઓએ ગૅન્ગરેપ દરમ્યાન આચરેલી હિંસા અને ક્રૂરતા એટલી ભયાનક છે કે કોઈ પણ રાષ્ટ્રપતિ દયાની અરજી માન્ય રાખે નહીં. પરિણામે ફાંસીમાં મોડું થઈ શકે છે.