12મા ધોરણની એક્ઝામ્સ મોકૂફ રાખવાની માગણી સામે CBSEનો કોર્ટમાં વિરોધ
પ્રતીકાત્મક તસવીર
સર્વોચ્ચ અદાલતમાં ૧૨મા ધોરણની કમ્પાર્ટમેન્ટ એક્ઝામ્સ મુલતવી રાખવાની માગણી કરતી અરજી સામે સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન(સીબીએસઈ)એ વિરોધ નોંધાવ્યો હતો. અદાલતે અનિકા સામવેદીની અરજીના જવાબમાં ટૂંકી એફિડેવિટ ફાઇલ કરવાનો સીબીએસઈને આદેશ આપ્યા બાદ આગામી સુનાવણીની તારીખ ૧૦ સપ્ટેમ્બર નક્કી કરી હતી. સીબીએસઈ તરફથી વકીલે જણાવ્યું હતું કે ‘કોરોના રોગચાળાના અનુસંધાનમાં કમ્પાર્ટમેન્ટ એક્ઝામ્સ માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. બોર્ડે પરીક્ષા કેન્દ્રોની સંખ્યા ૫૭૫થી વધારીને ૧૨૭૮ કરી છે. જે ક્લાસરૂમમાં ૪૦ વિદ્યાર્થીઓ બેસતા હોય એમાં ૧૨ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા બેસશે. સપ્ટેમ્બર મહિનામાં યોજાનારી પરીક્ષા માટે ટૂંક સમયમાં નોટિફિકેશન બહાર પાડવામાં આવશે.’
વિડિયો કૉન્ફરન્સિંગ દ્વારા અરજીઓની સુનાવણીમાં ન્યાયમૂર્તિઓ એ. એમ. ખાનવિલકર, દિનેશ મહેશ્વરી અને સંજીવ ખન્નાની બેન્ચે અરજદારના વકીલને જણાવ્યું હતું કે ‘પરીક્ષા મોકૂફ રાખવાથી વિદ્યાર્થીઓને કઈં લાભ થવાનો છે? પરીક્ષાઓ આપ્યા વગર વિદ્યાર્થીઓની શી સ્થિતિ થશે?’