રાજ્યનાં પ્રથમ મહિલા ચૂંટણી કમિશનરનું કોવિડ-19થી મૃત્યુ
દિકરી અનુરાધા (ડાબે) અને નિર્મિતી સાળુંકે સાથે નિલા સત્યનારાયણ
રાજ્યના પહેલાં મહિલા ચૂંટણી કમિશનર નીલા સત્યનારાયણનું ગઈ કાલે વહેલી સવારે અહીંની એક હૉસ્પિટલમાં કોવિડ-19ના ચેપથી મૃત્યુ થયું હોવાનું હૉસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું હતું.
તેઓ ૭૨ વર્ષનાં હતાં. ૧૯૭૨ના બૅચના આ આઇએએસ ઑફિસર રાજ્યનાં પ્રથમ મહિલા ચૂંટણી કમિશનર હતાં.
અંધેરીની કોવિડ-19 સમર્પિત સેવન હિલ્સ હૉસ્પિટલના ડીન ડૉક્ટર બાલકૃષ્ણ અડસુળે કહ્યું હતું કે તેઓ સવારે લગભગ ચાર વાગ્યે મૃત્યુ પામ્યાં હતાં. તેમના પતિ અને પુત્રની હૉસ્પિટલમાં કોવિડ-19ના ચેપની સારવાર કરવામાં આવી રહી છે. નીલા સત્યનારાયણ ૨૦૦૯માં રાજ્યના મહેસૂલ વિભાગનાં ઍડિશનલ ચીફ સેક્રેટરીપદ પરથી નિવૃત્ત થયાં હતાં. નિવૃત્તિ બાદ 2009થી 2014 દરમ્યાન તેમણે રાજ્યના ચૂંટણી કમિશનર તરીકેની સેવા આપી હતી.
પોતાની ફરજ નિભાવતી વખતે તેઓએ મહિલા આઇએએસ અધિકારીઓને રાજ્ય સચિવાલયમાં મહત્ત્વની પોસ્ટિંગ આપવામાં ન આવતી હોવા સામે વિરોધ નોંધાવી પોતાનો અવાજ ઉઠાવ્યો હતો. પછીથી તેમને રાજ્યનાં મહેસૂલ અને ગૃહ ખાતામાં પોસ્ટિંગ આપવામાં આવ્યું હતું. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે, નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર, એનસીપી સુપ્રીમો શરદ પવાર અને અન્ય નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.