રેલવેપ્રધાન પીયૂષ ગોયલનાં માતાનું અવસાન
પીયૂષ ગોયલ
બીજેપીના સિનિયર નેતા તથા રેલવેપ્રધાન પીયૂષ ગોયલનાં માતા ચંદ્રકાંતા ગોયલનું વૃદ્ધાવસ્થાને કારણે તેમના નિવાસસ્થાને શુક્રવારે મોડી રાતે અવસાન થયું હતું. પીયૂષ ગોયલે ટ્વિટર પર તેમનાં માતાના અવસાનની જાણ કરી હતી.
ટ્વીટમાં તેમણે જણાવ્યું હતું કે ‘તેમનાં માતાએ તેમનું સમગ્ર જીવન લોકોની સેવા માટે સમર્પિત કર્યું હતું તથા અન્ય લોકોને પણ એમ કરવાની પ્રેરણા પૂરી પાડી હતી.’
બીજેપીના નેતા અને ભૂતપૂર્વ પ્રધાન વિનોદ તાવડેએ જણાવ્યું હતું કે શનિવારે સવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
ચંદ્રકાંતા ગોયલ કટોકટી બાદ એક ટર્મ સુધી મુંબઈનાં કૉર્પોરેટર રહ્યાં હતાં, પછીથી તેમણે ત્રણ ટર્મ માટે મુંબઈની માટુંગા વિધાનસભા બેઠક પરથી બીજેપીનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
તેમના પતિ સ્વર્ગસ્થ વેદ પ્રકાશ ગોયલ લાંબા સમય સુધી બીજેપીના રાષ્ટ્રીય ખજાનચી રહ્યા હતા. અટલ બિહારી વાજપેયીની સરકારમાં તેઓ શિપિંગ પ્રધાન હતા.