મુલુંડમાં ગાયના રોડ પર મૃત્યુથી ચકચાર
પ્રતીકાત્મક તસવીર
હિન્દુ ધર્મમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે, પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે જે ગાયને પોતાનું એક વેપારનું સાધન બનાવી લોકોની લાગણીનો ફાયદો ઉઠાવે છે. મુલુંડમાં એક ગર્ભવતી ગાયનું મૃત્યુ સેવારામ લાલવાણી રોડ પર થયું હતું, જેના પગલે અનેક લોકોએ એ જગ્યાએ ભેગા થઈ પોલીસને ગાયમાલિક એટલે કે તબેલાવાળા પર અને ગાયને લઈ આવનાર વ્યક્તિ પર કાર્યદેસર કાર્યવાહી કરવાની માગણી કરી હતી. છેવટે પોલીસે કાર્યવાહી કરતાં ગાયને પોસ્ટમૉટમ માટે પરેલ સ્થિત હૉસ્પિટલમાં મોકલી આપી હતી.
મુલુંડ-વેસ્ટમાં સેવારામ લાલવાણી રોડની ફુટપાથ પર બેસાડવામાં આવતી ગાયનું ગુરુવારે સવારે અચાનક મૃત્યુ થયું હતું. આ વાત મુલુંડમાં વાયુવેગે પસરી જતાં અનેક ગૌરક્ષકો ત્યાં આવી પહોંચ્યા હતા. તપાસમાં ખબર પડી કે ગાય ગર્ભવતી હતી. આ વાતની લોકોને ખબર પડતાં અનેક લોકો ગુસ્સે ભરાયા હતા અને પોલીસને આ ઘટનાની માહિતી લઈ તબેલામાલિક અને વેપાર કરવા લઈ આવતા બે લોકો પર કાર્યવાહી કરવાની માગણી કરી હતી.
મુલુંડમાં ગૌરક્ષક રાકેશ સોમૈયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે ‘પોસ્ટમૉર્ટમ રિપોર્ટ આવતાં જે તેના મોત માટે જવાબદાર સામે કાર્યવાહી કરવાની માગણી અમે પોલીસ પાસે કરી છે. એ સાથે તબેલામાં પણ તમામ ગાયની તપાસ કરવામાં આવશે. જો કોઈ ગાય બીમાર હશે તો તેને હૉસ્પિટલમાં લઈ જવામાં આવશે. મુલુંડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પાંડુરંગ ગાયકવાડ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે ‘હાલમાં ગાયનો પોસ્ટમૉર્ટમ રિપોર્ટ આવ્યો નથી, આવ્યા બાદ એના પર કાર્યવાહી કરવામાં આવશે. એ સાથે વધુ તપાસ હાથ ધરાઈ છે.