Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આજે બોરીવલીમાં બોલી ને સાંભળી ન શકતા લોકો માટે વન-ડે નવરાત્રિ

આજે બોરીવલીમાં બોલી ને સાંભળી ન શકતા લોકો માટે વન-ડે નવરાત્રિ

24 October, 2012 04:45 AM IST |

આજે બોરીવલીમાં બોલી ને સાંભળી ન શકતા લોકો માટે વન-ડે નવરાત્રિ

આજે બોરીવલીમાં બોલી ને સાંભળી ન શકતા લોકો માટે વન-ડે નવરાત્રિ




ફાલ્ગુની જડિયા-ભટ્ટ




બોરીવલી, તા. ૨૪



આજે દશેરાના દિવસે બોરીવલીના મેગા થ્રિલ્સ પાર્ટી હૉલમાં યોજાયેલી દાંડિયારાસની વન-ડે ઇવેન્ટમાં ભાગ લેવા માત્ર મુંબઈના જ નહીં, ભારતભરના વિવિધ ભાગોમાંથી ખેલૈયાઓ આવી રહ્યા છે. આ કોઈ ફિલ્મસ્ટાર્સ, ટીવીસ્ટાર્સ કે ક્રિકેટર જેવી સેલિબ્રિટીઓની નવરાત્રિની તૈયારીઓ નથી. આ તો છે બોલી અને સાંભળી ન શકતા લોકો માટે યોજાતી એક દિવસીય નવરાત્રિની ધમાલ...


બોરીવલીનું નવરાત્રિ નવયુવક મંડળ ફૉર ધ ડેફ છેલ્લાં એકવીસ વર્ષથી દર વર્ષે દશેરાના દિવસે ખાસ બોલી કે સાંભળી શકતા નથી એવા ખેલૈયાઓ માટે નવરાત્રિનું આયોજન કરતું આવ્યું છે. આમ તો આ આયોજન માત્ર એક જ દિવસનું હોય છે, પરંતુ એ દિવસે સવારે દસથી રાતે દસ સુધી આ ખેલૈયાઓ મન મૂકીને એનો આનંદ લઈ શકે એવી વ્યવસ્થા કરવામાં આવે છે. આ નવયુવક મંડળના જનરલ સેક્રેટરી તુષાર વાણીએ જણાવ્યા અનુસાર વીસ વર્ષ પહેલાં ઇન્ડિયા ડેફ સોસાયટીના નરેન્દ્ર વ્યાસ અને જવાહર વરાડકરે અમદાવાદમાં ખાસ બોલી ન શકતા અને સાંભળી ન શકતા લોકો માટે યોજાતી હોળી જોઈ હતી, જેમાંથી તેમને મુંબઈના બોલી અને સાંભળી ન શકતા સમુદાય માટે નવરાત્રિ કરવાનો વિચાર આવ્યો હતો. પહેલા વર્ષે વિલે પાર્લેમાં યોજાયેલી આ નવરાત્રિમાં ૨૦૦ ખેલૈયાઓએ ભાગ લીધો હતો અને હવે છેલ્લાં પાંચ વર્ષથી આ સંખ્યા વધીને ૭૦૦-૮૦૦ સુધી પહોંચી જાય છે.’

આ એકમાત્ર એવી નવરાત્રિ છે જેમાં કોઈ ગાયક નથી, માત્ર સંગીતના તાલે ખેલૈયાઓ રાસગરબા રમે છે એવું જણાવતાં તુષારભાઈ કહે છે, ‘આ કાર્યક્રમમાં સંગીતની વ્યવસ્થા એ રીતે કરવામાં આવી હોય છે કે બોલી અને સાંભળી ન શકતા ખેલૈયાઓ એના વાઇબ્રેશન મારફત સંગીત અનુભવી શકે અને એને માણી શકે. આખા દિવસના આ કાર્યક્રમમાં ભાગ લેનારાઓને રાસ-ગરબા ઉપરાંત નવરાત્રિની કથા, નાટક, હાસ્ય, લકી ડ્રૉ અને ગીતો તથા બોલી ન શકતા અને સાંભળી ન શકતા લોકોને ઉપયોગી થાય એવાં લેક્ચરની પણ ગોઠવણ કરવામાં આવે છે. એમાં ભાગ લેવા માટે પ્રવેશકિંમત ૨૫૦થી ૪૦૦ રૂપિયા રાખવામાં આવી છે.’

નવરાત્રિ નવયુવક મંડળ આ કાર્યક્રમ વિશેની માહિતી તેમની સાથે જોડાયેલી સંસ્થાઓના માધ્યમથી લોકો સુધી પહોંચાડે છે તેમ જ પોતાની વેબસાઇટ www.navratrifordeaf.com ના માર્ગે પણ આ જાણકારી પૂરી પાડે છે. અહીં નોંધવું રસપ્રદ છે કે આટલાં વષોર્માં આ નવરાત્રિએ કેટલાક લોકો માટે મૅચ-મેકિંગની ભૂમિકા પણ પૂરી પાડી છે, જેના પગલે કેટલાંક બોલી અને સાંભળી ન શકતાં યુવક-યુવતીઓનાં લગ્ન થયાં હોવાના કિસ્સા પણ ધ્યાનમાં આવ્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

24 October, 2012 04:45 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK