Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > દાદાસાહેબની ફિલ્મ પહેલાંના હરિશ્ચંદ્રના દશાવતાર

દાદાસાહેબની ફિલ્મ પહેલાંના હરિશ્ચંદ્રના દશાવતાર

04 July, 2020 08:11 PM IST | Mumbai
Deepak Mehta | deepakbmehta@gmail.com

દાદાસાહેબની ફિલ્મ પહેલાંના હરિશ્ચંદ્રના દશાવતાર

‘રાજા હરિશ્ચન્દ્ર’ ફિલ્મનું એક દૃશ્ય

‘રાજા હરિશ્ચન્દ્ર’ ફિલ્મનું એક દૃશ્ય


‘હા, આજે પણ એ દિવસ મને બરાબર યાદ છે. ૧૯૧૧ના નાતાલના દિવસો હતા. સૅન્ડહર્સ્ટ રોડ પર એક તંબુમાં અમે ‘સિનેમા’ જોવા ગયાં હતાં...’ આ શબ્દો છે સરસ્વતીબાઈના, જે છેક ૧૯૭૦માં બોલાયેલા. ‘તંબુની બહાર બૅન્ડ વાગતું હતું. ફર્સ્ટ ક્લાસની ટિકિટ હતી આઠ આના, છતાં મુખ્યત્વે ખ્રિસ્તીઓ અને યુરોપિયનોની ભારે ભીડ હતી. થોડી વારે બધી લાઇટ બંધ થઈ. સફેદ પડદા પર એક કૂકડો ચાલતો દેખાયો. આ કૂકડો પાથે કંપનીનું ટ્રેડમાર્ક હતું. પછી એક કૉમેડી પિક્ચર શરૂ થયું. ફૂલ્સહેડ નામનો ઍક્ટર એમાં કામ કરતો હતો. વચમાં-વચમાં ફિલ્મ બંધ થતી અને લાઇટ ચાલુ થતી. સ્ટેજ પર કાં તો જાદુના, કાં અંગકસરતના ખેલ થતા. એ દિવસનું મુખ્ય પિક્ચર તો જીઝસ ક્રાઇસ્ટના જીવન વિશેનું હતું. જીઝસ પર દુઃખ‍ પડતાં જોઈને અને તેમને વધસ્તંભ પર ચડાવ્યા ત્યારે ઘણા લોકો રડતા હતા. આ ફિલ્મ કિનેમાકલર પ્રોસેસ વડે રંગીન બનાવી હતી. પિક્ચર જોઈને અમે પાછાં ફરતાં હતાં ત્યારે તેમણે કહ્યું, ‘આવી જ રીતે આપણે આપણા રામ અને કૃષ્ણ વિશે ફિલ્મ બનાવીશું. તેમની આ વાત સાંભળીને મને જરાય આનંદ ન થયો અને મેં કશો જવાબ આપ્યો નહીં.’

પણ કોણ હતાં આ સરસ્વતીબાઈ? ધુંડીરાજ ગોવિંદ ફાળકે ઉર્ફે દાદાસાહેબ ફાળકેનાં પત્ની અને દાદાસાહેબ એટલે હિન્દુસ્તાનના ફિલ્મઉદ્યોગના પિતા. ૧૮૭૦ના ૩૦ એપ્રિલે નાશિક નજીકના ત્ર્યંબકેશ્વરમાં જન્મ. ૧૯૪૪ના ૧૬ ફેબ્રુઆરીએ નાશિકમાં અવસાન. સંસ્કૃતના પરંપરાગત પદ્ધતિના વિદ્વાન. પિતા મુંબઈની વિલ્સન કૉલેજમાં પ્રોફેસર તરીકે જોડાયા એટલે તેમની સાથે મુંબઈ. ૧૮૮૫માં જેજે સ્કૂલ ઑફ આર્ટ્સમાં દાખલ. પછી વડોદરાના કલાભવનમાં ભણ્યા. પછી જુદી-જુદી નાટક-કંપનીઓ માટે પડદા ચીતરવાનું અને ફોટોગ્રાફીનું કામ કર્યું. થોડો વખત રતલામ જઈને એક ફોટોગ્રાફી સ્ટુડિયોમાં કામ કર્યું. ૧૯૦૩માં આર્કિયોલૉજી ડિપાર્ટમેન્ટમાં જોડાયા. પછી એક છાપખાનું સંભાળ્યું અને છાપકામ શીખવા માટે જર્મની ગયા, પણ પાછા આવ્યા ત્યાં સુધીમાં નક્કી કરી લીધું કે મારું ક્ષેત્ર છાપકામ નહીં, ફિલ્મ છે.



પણ એ વખતે ફિલ્મ બનાવવા વિશે આપણા દેશમાં કોઈ કશું જાણતું નહોતું એટલે પોતાની જીવન વીમા પૉલિસી ગીરવી મૂકીને પૈસા ઉછીના લઈને ઇંગ્લૅન્ડ ગયા. પાછા આવ્યા ત્યારે વિલિયમસન કૅમેરા અને ફિલ્મ બનાવવાનાં બીજાં કેટલાંક સાધનો સાથે લેતા આવ્યા અને હા, કાચી ફિલ્મનાં ફીંડલાં તો ખરાં જ. પાછા આવીને તેમણે હિન્દુસ્તાનની પહેલી મૂંગી ફિલ્મ બનાવવાનું શરૂ કર્યું. મુંબઈના પરામાંના એક બંગલામાં સ્ટુડિયો બનાવ્યો. એકડે એકથી બધી મહેનત જાતે કરી. ૧૯૧૨માં ૩૭૦૦ ફીટ લાંબી ફિલ્મ તૈયાર કરી. એ જમાના માટે આ ઘણી લાંબી ફિલ્મ કહેવાય. ૧૯૧૩ની ૨૧ એપ્રિલે મુંબઈના ગિરગામમાં આવેલા ઑલિમ્પિયા થિયેટરમાં આમંત્રિતો માટેનો પહેલો શો યોજાયો અને તેમને એ ફિલ્મ ઘણી પસંદ પડી. ૧૦ દિવસ પછી ગિરગામમાં જ આવેલા કોરોનેશન થિયેટરમાં જાહેર શો શરૂ થયા.


યાદ છેને, દિલ્હી દરબારના કોરોનેશન કહેતાં રાજ્યાભિષેક માટે શહેનશાહ પાંચમા જ્યૉર્જ અને મહારાણી મેરી દિલ્હી જતાં પહેલાં મુંબઈ આવેલાં અને તેમનું ભવ્ય સ્વાગત થયેલું. આ કોરોનેશનની ઘટનાના માનમાં થિયેટરનું નામ કોરોનેશન રખાયું હતું અને એ થિયેટરમાં દેશની પહેલી ફિલ્મ પહેલી વાર રજૂ થઈ હતી અને એ ફિલ્મનું નામ હતું ‘રાજા હરિશ્ચંદ્ર.’ પરદેશી રાજાનું કોરોનેશન અને દેશી રાજા હરિશ્ચન્દ્ર વચ્ચેનો આ હતો નજીકનો સંબંધ.

સૅન્ડહર્સ્ટ રોડ પરના તંબુમાંથી બહાર નીકળ્યા પછી તો દાદાસાહેબે પત્નીને કહ્યું હતું કે ‘રામ કે કૃષ્ણ જેવાં પૌરાણિક પાત્રો પર ફિલ્મ બનાવવી જોઈએ’ અને પછી ફિલ્મ બનાવી ત્યારે રાજા હરિશ્ચન્દ્ર પર, એમ કેમ? ઓગણીસમી સદીમાં અને વીસમી સદીના શરૂઆતના કેટલાક દાયકા દરમ્યાન મુંબઈમાં મરાઠીભાષીઓ, હિન્દુ, ગુજરાતીઓ, પારસીઓ, મુસ્લિમો, ખ્રિસ્તીઓ વગેરે વચ્ચે સારોએવો એખલાસ હતો અને સાહિત્ય, સંગીત, નાટક, રંગભૂમિ, વર્તમાનપત્રો વગેરે ક્ષેત્રોમાં થતાં બીજાનાં કામથી તેઓ પરિચિત રહેતા એટલે રણછોડભાઈ ઉદયરામ અને કાબરાજીના ‘હરિશ્ચન્દ્ર’ નાટકને મળેલી અસાધારણ સફળતાથી દાદાસાહેબ પરિચિત હોય જ. આ નાટકના ૧૧૦૦ શો ભજવાયા હતા, એટલું જ નહીં, એના અનુકરણમાં મુંબઈમાં અને ગુજરાતમાં ઠેર-ઠેર હરિશ્ચન્દ્રની કથા નાટકરૂપે ભજવાતી થઈ હતી. આ લખનારના અંગત સંગ્રહમાં રાજા હરિશ્ચન્દ્ર વિશેનાં કુલ ૧૦ નાટકોની ‘ઑપેરા બુક’ છે. એમાં ૧૮૮૪માં બે નાટકની માહિતી મળે છે. મુંબઈના ભગવાનદાસ લક્ષ્મીદાસ ભણસાલીએ લખેલું ‘નવા હરિશ્ચન્દ્ર તારામતી’ અને મુંબઈના જમનાદાસ હરજીવને પણ એ જ નામથી લખેલું નાટક. એના ટાઇટલ-પેજ પર ‘શુદ્ધ ગુજરાતીમાં’ એમ ઉમેરાયેલું છે, પણ એ પાના પર જ ઓછામાં ઓછી પાંચ ભૂલો છે અને જોડાક્ષર લગભગ વપરાયા નથી! એ છપાયું છે મુમ્બાદેવી રોડ પરના ચોકસી બજારમાં આવેલા ‘પારસી પ્રીન્ટીંગ પરેસ’માં. ૧૮૮૬માં પણ બે નાટક મોરબી આર્યજ્ઞાનવર્ધક નાટક કંપની માટે પ્રાણજીવન ગોકળજી રાવળે લખેલું ‘હરિશ્ચન્દ્ર ચરિત નાટક’ અને અજ્ઞાત લેખક કૃત ‘નવો હરિશ્ચન્દ્ર તારામતીનો ખેલ.’ વાંકાનેર આર્યહિતવર્ધક નાટક કંપની માટે ત્રંબકલાલ દેવશંકર રાવળે લખેલું ‘સત્યવાદી મહારાજા હરિશ્ચન્દ્ર’ની પહેલી આવૃત્તિ ૧૮૮૭માં અને બીજી આવૃત્તિ ૧૮૮૯માં પ્રગટ થઈ છે. પહેલી આવૃત્તિની ૨૦૦૦ અને બીજી આવૃત્તિની ૫૦૦૦ નકલ છાપી હતી. એ પછી મળે છે ૧૮૯૦માં ‘ડાકોર ગુણગ્રાહક સભાના શુભેચ્છક’ મોતીભાઈ નાથાભાઈ મહેતાએ લખેલું ‘સતવાદી રાજા હરિશ્ચન્દ્ર તારામતી નાટક.’ એ જ વર્ષે એચ. એમ. શેઠનું ‘હરિશ્ચન્દ્ર ને તારામતી નાટક’ અમદાવાદના આર્યોદય પ્રેસમાં છપાઈને પ્રગટ થયું છે, તો ૧૮૯૧ અને ૧૯૨૧માં હરિશ્ચન્દ્ર પરનાં બે ‘હિન્દુસ્તાની’ (જેને માટે આજે આપણે ‘ઉર્દૂ’ શબ્દ વાપરીએ છીએ)માં લખાયેલાં પણ ગુજરાતી લિપિમાં છપાયેલાં નાટકો મળે છે. ૧૮૯૧માં મુનસી કરીમબખ્સ મુતખલ્લીસે ગુજરાતીમાંથી અનુવાદ કરેલું ‘દાસ્તાને હરિશ્ચન્દ્ર તારામતી, રોહિદાસ’ પુણેના ‘જગદ્ધેચ્છુ’ છાપખાનામાં છાપીને પ્રગટ થયું છે. તો અમદાવાદના આણંદ ભુવન થિયેટર સાથે સંકળાયેલા ‘નજીર બેગ મુનસી’એ લખેલું ‘હરિશ્ચન્દ્ર નાટક’ અમદાવાદના શ્રી જૈન ઍડ્વોકેટ પ્રિન્ટિંગ પ્રેસમાં છપાઈને બહાર પડ્યું છે. આ ઉપરાંત બે નાટકોની પ્રકાશન સાલ મળતી નથી, મહારાજ રામચંદ્ર માધવદાસજીએ લખેલું ‘શ્રી સત્યવાદી હરિશ્ચંદ્ર સત્યવિજય નાટક’ અને ‘બાળકો માટે સત્યવિજય નાટક.’ આ નાટકના લેખકનું નામ પણ મળતું નથી. હરિશ્ચન્દ્ર વિશેનાં નાટક ઉર્દૂમાં ભજવાય એની આજે આપણને નવાઈ લાગે, પણ એ વખતે મરાઠી-ગુજરાતી-ઉર્દૂ રંગભૂમિ પર આવી લેવડ-દેવડ થતી રહેતી.


દાદાસાહેબ ફાળકે રણછોડભાઈ-કાબરાજીના ‘હરિશ્ચન્દ્ર’ નાટકથી અને એને મળેલી અસાધારણ સફળતાથી પરિચિત હોય એ સ્વાભાવિક ગણાય. વડોદરાના કલાભવનમાં તેમણે અભ્યાસ કર્યો હતો એટલે ગુજરાતની રંગભૂમિનો પરિચય પણ હોય તો નવાઈ નહીં. ૧૮૭૪થી હરિશ્ચન્દ્ર વિશેનાં નાટકો અવારનવાર ભજવાતાં રહેલાં એ હકીકતથી પણ તેઓ પરિચિત હોય. એટલે પોતાની પહેલી ફિલ્મ માટે વિષય પસંદ કરતી વખતે તેમણે રણછોડભાઈ-કાબરાજી અને બીજા લેખકોનાં નાટકોની બહોળી અને લાંબા સમયની સફળતાને ધ્યાનમાં રાખી હોય એવો પૂરો સંભવ છે અને એટલે રામ-કૃષ્ણને બદલે તેમણે પહેલી ફિલ્મ રાજા હરિશ્ચન્દ્ર વિશે બનાવી હોય. પારસીઓએ ભજવેલું ‘ઇન્દ્રસભા’ નાટક પુણેમાં જોઈને અણ્ણાસાહેબ કિર્લોસ્કરને મરાઠીમાં સંગીત નાટક લખવાનું સૂઝ્યું હતું અને તેમણે લગભગ રાતોરાત સંગીત શાકુંતલ નાટક લખ્યું હતું. તો આ જ નાટક પરથી ૧૯૩૨માં ‘ઇન્દ્રસભા’ ફિલ્મ બની હતી જેમાં ૭૦ કરતાં વધુ ગાયન હતાં. આજ સુધી દુનિયામાં બનેલી બીજી કોઈ ફિલ્મમાં આટલાં ગીતો આવ્યાં નથી. એ બનાવી હતી જમશેદજી ફરામજી માદનની ‘માદન થિયેટર’ કંપનીએ. એટલે કે એ જમાનામાં રંગભૂમિ અને ફિલ્મો વચ્ચે પણ વાટકીવહેવારનો સંબંધ હતો.

આપણા દેશની પહેલી ફિલ્મ ‘રાજા હરિશ્ચન્દ્ર’ જાહેર જનતા માટે પહેલી વાર બતાવાઈ હતી એ કોરોનેશન સિનેમૅટોગ્રાફ ઍન્ડ વરાઇટી હૉલ નામના થિયેટરમાં. ફિલ્મની જાહેરખબરમાં એનું સરનામું છાપ્યું છે ઃ સૅન્ડહર્સ્ટ રોડ, ગિરગામ. આ રોડનું આજનું નામ વલ્લભભાઈ પટેલ રોડ, પણ આજના આ રોડ કરતાં સૅન્ડહર્સ્ટ રોડ ઘણો વધુ લાંબો હતો. એના એક છેડે હતો ચોપાટીનો દરિયાકિનારો, તો બીજે છેડે હતું જીઆઇપી (આજની સેન્ટ્રલ) રેલવેનું સૅન્ડહર્સ્ટ રોડ સ્ટેશન. આ સ્ટેશન અને રસ્તો બન્ને ૧૯૧૦માં તૈયાર થયાં હતાં, એટલે કે ૧૯૧૩માં આ ફિલ્મ બતાવાઈ ત્યારે આ રસ્તો અને થિયેટર લગભગ નવાંનક્કોર હતાં. લૉર્ડ વિલિયમ્સ મેન્સફીલ્ડ સૅન્ડહર્સ્ટ (૧૮૫૫-૧૯૨૧) ૧૮૯૫થી ૧૯૦૦ સુધી મુંબઈના ગવર્નર હતા અને ૧૯૧૨થી મૃત્યુ પામ્યા ત્યાં સુધી લૉર્ડ ચેમ્બરલેન ઑફ ધ હાઉસહોલ્ડ હતા. તેમની કારકિર્દીની શરૂઆત લશ્કરમાં. ૧૮૭૬માં પિતાનું અવસાન થતાં બેરન સૅન્ડહર્સ્ટ બન્યા. ત્યારે તેમની ઉંમર હતી ૨૦ વર્ષ. પછી ૨૧મા જન્મદિવસે હાઉસ ઑફ લૉર્ડ્સના સભ્ય બન્યા. મુંબઈનું ગવર્નરપદ છોડ્યા પછી તેમની નિમણૂક ‘એક્સ્ટ્રા નાઇટ ગ્રૅન્ડ કમાન્ડર ઑફ ધ ઑર્ડર ઑફ ધ સ્ટાર ઑફ ઇન્ડિયા’ તરીકે થઈ હતી. ૧૯૧૨માં લૉર્ડ ચેમ્બરલેન ઑફ ધ હાઉસહોલ્ડ બન્યા. ૧૯૧૭માં બર્કશર કાઉન્ટીના વાઇકાઉન્ટ સૅન્ડહર્સ્ટ બન્યા. તેમની હયાતી દરમ્યાન જ આ નવા બનેલા રસ્તા અને સ્ટેશનને તેમનું નામ અપાયું હતું.  

આજે કોઈ ઇમારતના સરનામામાં ફક્ત ‘એસ. વી. રોડ’ લખીએ તો ચાલે નહીં, કારણ કે રસ્તો ઘણો લાંબો છે અને જુદા-જુદા પરામાંથી પસાર થાય છે એટલે સાથે વાંદરા, વિલે પાર્લે કે જોગેશ્વરી વગેરે લખવું પડે. એવી જ રીતે આ સૅન્ડહર્સ્ટ રોડ પણ ઘણો લાંબો હતો એટલે ‘રાજા હરિશ્ચન્દ્ર’ની જાહેરખબરમાં એના નામ પછી ‘ગિરગામ’ ઉમેર્યું છે એટલે એટલું તો નક્કી કે આ થિયેટર સૅન્ડહર્સ્ટ રોડ પર અને ગિરગામ વિસ્તારમાં આવ્યું હતું એટલે એ ૧૯૧૦ પહેલાં તો ન જ બંધાયું હોય. થિયેટરનું નામ હતું કોરોનેશન અને શહેનશાહ પાંચમા જ્યૉર્જ અને મહારાણી મેરીનું કોરોનેશન (રાજ્યાભિષેક) ૧૯૧૧ની બાવીસમી જૂને લંડનમાં થયું હતું એટલે થિયેટર ૧૯૧૧ના જૂન પછી જ બંધાયું હોય. જોકે આ નામને તેમનું હિન્દુસ્તાનના શહેનશાહ અને મહારાણી તરીકે કોરોનેશન થયું એની સાથે સંબંધ હોવાનું વધુ શક્ય છે અને તો એ ૧૯૧૧ની ૧૨ ડિસેમ્બર પછી બંધાયું હોય. આ થિયેટરના નામમાં ‘વરાઇટી હૉલ’ ઉમેર્યું છે, કારણ એ વખતે માત્ર ફિલ્મ બતાવીને કોઈ થિયેટર ચાલી શકે એમ હતું નહીં એટલે અહીં સંગીત, નૃત્ય, જાદુ વગેરેના ખેલ પણ થતા રહેતા. આજની ભાષામાં કહીએ તો આ મલ્ટિપર્પઝ હૉલ હતો. એનું નામ ‘કોરોનેશન’ પાડ્યું એટલે એના માલિક અંગ્રેજ રાજવટ માટે આદર-ભક્તિ ધરાવનાર હોવા જોઈએ. નામમાં તે શું બળ્યું છે એમ કહેવાય છે, પણ ઘણી વાર ઇતિહાસ, ભૂગોળ, રાજકારણ, સંસ્કૃતિ વિશેનાં મહત્ત્વનાં સૂચનો નામમાંથી મળી રહેતાં હોય છે. ‘કોરોનેશન’ નામમાંથી મળતાં કેટલાંક સૂચન વિશેની વાત આવતા અઠવાડિયે. ત્યાં સુધી સત્યવાદી રાજા હરિશ્ચન્દ્ર કી જય!

Whatsapp-channel Whatsapp-channel

04 July, 2020 08:11 PM IST | Mumbai | Deepak Mehta

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK