નિસર્ગના ડરે મુંબઈ ઍરપોર્ટ પણ થોડો સમય માટે બંધ કરાયું
મુંબઈ એરપોર્ટ
નિસર્ગ વાવાઝોડાના કારણે રોકવામાં આવેલી હવાઈ સર્વિસ ગઈ કાલે મોડી સાંજે ફરીથી શરૂ કરવામાં આવી હતી. જોકે બૅન્ગલોરથી આવેલી એક ફ્લાઇટ વરસાદને કારણે રનવેમાં ઓવરશૂટ થતાં થોડીક દોડધામ મચી ગઈ હતી. પ્રાઇવેટ ઍરપોર્ટ ઑપરેશન્સ દ્વારા અગાઉ ઘોષણા કરવામાં આવી હતી કે છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર તમામ ફ્લાઇટ નિસર્ગ વાવાઝોડાના કારણે આવનજાવન થશે નહીં. તમામ સર્વિસો ગઈ કાલે બપોરે ૨.૩૦ વાગ્યાથી સાંજના ૭ વાગ્યા સુધી બંધ કરાઈ હતી.
મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ લિમિટેડના એક સ્ટેટમેન્ટમાં કહેવામાં આવ્યું હતું કે ગઈ કાલ દરમિયાન ફેડએક્સની એક ફ્લાઇટ બૅન્ગલોરથી મુંબઈ આવી પહોંચી હતી ત્યારે રનવે પર ઓવરશૂટ થવાની ઘટના બની હતી. મુંબઈ ઍરપોર્ટ પર ૨૫ મેથી રોજની ૫૦ ફ્લાઇટ ઑપરેટ કરવાની પરવાનગી આપવામાં આવી છે. આ તમામ ફ્લાઇટ ડોમેસ્ટિક ઑપરેશન્સની છે.
ADVERTISEMENT
ભારે વરસાદની આગાહી પણ માત્ર બે જ ઇંચ વરસાદ પડ્યો
નિસર્ગ સાઇક્લોન વચ્ચે ગઈ કાલે મુંબઈભરમાં ચોમાસા પહેલાં સારોએવો વરસાદ નોંધાયો હતો. જોકે સાઇક્લોન ફંટાઈ જતાં મુંબઈને ઓછી અસર થવાની સાથે ભારે વરસાદ નહોતો પડ્યો. કોલાબામાં સવારે ૮.૩૦ વાગ્યાથી રાતના ૮.૩૦ વાગ્યા દરમ્યાન ૪૮.૯ મિલીમીટર એટલે કે બે ઇંચ જેટલો તો સાંતાક્રુઝમાં ૨૩.૬ મિલીમીટર એટલે કે ૧ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
હવામાન વિભાગે આગામી ૨૪ કલાકમાં મુંબઈમાં વાદળછાયું આકાશ રહેવાની સાથે હળવો તો કેટલાંક સ્થળે ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. ગઈ કાલે વરસાદ થવાની સાથે જોરદાર પવન ફૂંકાવાને લીધે ગરમીમાં પણ ઘટાડો થયો હતો. કોલાબામાં ૨૬ તો સાંતાક્રુઝમાં ૨૭ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આજે પણ કોલાબા અને સાંતાક્રુઝમાં અનુક્રમે ૨૬ અને ૨૩ ડિગ્રી રહેવાની શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી હતી.