ખટ્ટર સરકાર પર ઘેરાયાં સંકટનાં વાદળો, ચૌટાલાની શાખ પર સટ્ટો
ખટ્ટર સરકાર પર ઘેરાયાં સંકટનાં વાદળો, ચૌટાલાની શાખ પર સટ્ટો
ખેડૂત આંદોલન વચ્ચે હરિયાણામાં શુક્રવારથી શરૂ થઈ રહેલા વિધાનસભાના બજેટ સત્રમાં કૉન્ગ્રેસે ખટ્ટર સરકારને ઘેરવાની રણનીતિ તૈયાર કરી લીધી છે. ૧૨ દિવસ સુધી ચાલનાર આ બજેટ સત્ર હંગામેદાર રહેશે તેમ જણાઈ રહ્યું છે. બજેટ સત્રના પહેલા જ દિવસે જ ખેડૂતોના મુદ્દે સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે ટક્કર થશે એ નક્કી છે. રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્યના અભિભાષણ બાદ વિપક્ષના નેતા ભૂપેન્દ્ર સિંહ હુડા બીજેપી-જેજેપી ગઠબંધન સરકારના વિરોધમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની જાહેરાત કરી દીધી છે. વિધાનસભા સત્ર દરમ્યાન પૂર્વ સીએમ ભૂપેન્દ્ર હુડાના નેતૃત્વમાં કૉન્ગ્રેસના ધારાસભ્ય ત્રણ કૃષિ કાયદાઓના વિરોધમાં ચર્ચાની માગ કરશે. આ મુદ્દા પર કૉન્ગ્રેસ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની વાત કરી રહી છે, પરંતુ એનો સ્વીકાર અથવા અસ્વીકાર કરવો સ્પીકરના વિવેક પર નિર્ભર કરે છે.