કરોડો રૂપિયાનું આંતર રાજ્ય જીએસટી કૌભાંડ પકડાયું
જીએસટી
ડિરેક્ટરેટ ઑફ જીએસટી ઇન્ટેલિજન્સના નાગપુર યુનિટે ૧૩૧ કરોડ રૂપિયાના બનાવટી ટ્રાન્ઝેક્શન્સ અને ૨૬ કરોડ રૂપિયાની ખોટી ઇનપુટ ટૅક્સ ક્રેડિટના આંતર રાજ્ય કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. આ કૌભાંડમાં મહારાષ્ટ્રના એક અને કર્ણાટકના બે કરદાતાઓ સંડોવાયેલા છે. તેઓ લેબર સપ્લાય તથા કૉન્ટ્રેક્ટ સર્વિસિસનો ધંધો કરે છે. આ કૌભાંડનો સૂત્રધાર કર્ણાટકમાં છે અને તેને શોધવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે.
ડિરેક્ટરેટ ઑફ જીએસટી ઇન્ટેલિજન્સની અખબારી યાદીમાં જણાવાયા પ્રમાણે ખોટાં ઇનવૉઇસ બનાવીને ખોટી ઇનપુટ ક્રેડિટ લેવાના આરોપસર કેસ નોંધાયેલા એક આરોપીની ચંદ્રપુર જિલ્લામાં શોધખોળ અને તપાસ દરમ્યાન આ કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. તપાસમાં જાણવા મળ્યું હતું કે તે કરદાતા બનાવટી હતો અને સરનામાના પુરાવારૂપે જીએસટી પૉર્ટલ પર અપલોડ કરેલાં ઇલેક્ટ્રિસિટી બિલ જેવા દસ્તાવેજો પણ બનાવટી હતા. એ તપાસમાં કર્ણાટકના બે અન્ય કરદાતાઓની વિગતો પણ પ્રકાશમાં આવી હતી. તે બન્નેએ એક જ તારીખે જીએસટી રજિસ્ટ્રેશન લીધું હતું અને બન્નેએ એક જ ઈ-મેઇલ આઇડી આપ્યો હતો. બન્ને એકબીજાના સોલ સપ્લાયર્સ અને બાયર્સ હતા.