મુંબઈ : ટીવી એક્ટ્રેસ સેજલ શર્માએ જાદુ ટોણાને લીધે જીવ ગુમાવેલો
ટીવી એક્ટ્રેસ સેજલ શર્મા
ઊભરી રહેલી ટીવી અભિનેત્રીએ સાત મહિના પહેલાં જાન્યુઆરીમાં પોતાના મીરા રોડ ખાતેના ઘરમાં સુસાઈડ કરી હતી. આ મામલામાં તેની માતાએ નોંધાવેલી ફરિયાદને પગલે મીરા રોડ પોલીસે તાજેતરમાં ઍક્ટ્રેસના બૉયફ્રેન્ડની ધરપકડ કરતાં તપાસમાં જણાયું છે કે કરીઅર બનાવવા માટે જાદુ ટોણા કરવાના ચક્કરમાં અભિનેત્રીએ હતાશામાં આ પગલું ભર્યું હતું.
મીરા રોડમાં શિવાર ગાર્ડન નજીકની રોયલ નેસ્ટ સોસાયટીમાં રહેતી ટીવી ઍક્ટ્રેસ અને મોડેલ સેજલ શર્માએ ૨૪ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ કરેલી આત્મહત્યાના કેસમાં મીરા રોડ પોલીસે ૩૦ વર્ષના જિમ ઇન્સ્ટ્રક્ટર કમ બૉયફ્રેન્ડ આદિત્ય વશિષ્ઠની અભિનેત્રીને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવાની સાથે જાદુ ટોણા કરવાના આરોપસર પોલીસે ધરપકડ કરી હતી.
ADVERTISEMENT
મીરા રોડ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સંદીપ કદમે કહ્યું હતું કે ‘આરોપી કથિત રીતે ઍક્ટ્રેસને સારા રોલ મળે એ માટે જાદુ ટોણા કરતો હતો. જોકે આમ કરવા છતાં કોઈ પૉઝિટિવ રિઝલ્ટ ન મળતાં બન્ને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. મૃતક અભિનેત્રીએ લખેલી સુસાઈડ નોટમાં પોતાનાં મોત માટે કોઈને જવાબદાર ન ગણવાનું લખ્યું છે, પરંતુ તેની માતાએ તેના બૉયફ્રેન્ડ આદિત્ય વશિષ્ઠને લીધે પગલું ભર્યાંની ફરિયાદ નોંધાવતા અમે તેની ધરપકડ કરીને થાણે સેશન્સ કોર્ટમાં રજૂ કરીને પોલીસ કસ્ટડી મેળવી હતી.’
ઍક્ટ્રેસ સેજલ શર્માએ સુસાઈડ નોટમાં લખ્યું છે કે તે પોતે એક મહિનાથી હતાશામાં છે. હું મારા પરનું દબાણ સહન કરી શકું એમ નથી એટલે આ પગલું ભરી રહી છું. જોકે તેની માતાએ પોલીસને કરેલી ફરિયાદમાં લખ્યું છે કે સેજલને તાજેતરમાં જ એક શોમાં લીડ રોડ મળ્યો હોવાથી તે હતાશામાં હોવાની શક્યતા નથી. બૉયફ્રેન્ડને લીધે તે મુશ્કેલીમાં મુકાઈ હોવાથી તેના મૃત્યુ માટે તે જવાબદાર છે એટલે તેની સામે કાર્યવાહી થવી જોઈએ. પોલીસે આદિત્ય વશિષ્ઠની આ બાબતે પૂછપરછ કરતાં તે ગોળ ગોળ જવાબ આપતો હોવાથી તેની વર્તણૂક શંકાસ્પદ જણાતાં તેની ધરપકડ કરાઈ હતી.