બિલ્ડરો સાથે પરવડે તેવા ઘરો બનાવવા કરાર કરવા વિચારે છે નવા સીએમ
એમ લાગે છે કે મુખ્ય પ્રધાન ફડણવીસ પોતાના પુરોગામી મુખ્ય પ્રધાન અશોક ચવાણ પાસેથી પ્રેરણા લઈને બિલ્ડરો સાથે પરવડી શકે એવાં ઘરો બનાવવા માટે કરવા વિચારી રહ્યા છે. ૨૦૧૦માં ચવાણ સરકારે પ્રાઇવેટ બિલ્ડરોની સંસ્થા મહારાષ્ટ્ર ચેમ્બર ઑફ હાઉસિંગ ઇન્ડસ્ટ્રી સાથે સમજૂતીના કરાર કરી મુંબઈ મેટ્રોપૉલિટન વિસ્તારમાં પાંચ વર્ષમાં પાંચ લાખ પરવડી શકે એવાં ઘરો બાંધવાનું નક્કી કર્યું હતું. ચવાણ આદર્શ ગોટાળામાં ફસાયા બાદ આ પ્રોજેકટ અભેરાઈ પર ચડી ગયો હતો.
હાઉસિંગ વિભાગના એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે આ કરાર ૨૦૧૫ના ફેબ્રુઆરીમાં પૂરો થતો હોવાથી હાલના મુખ્ય પ્રધાન ફડણવીસે બિલ્ડરોને એક વધુ તક આપવાનું નક્કી કર્યું છે. આ કરાર ૨૦૧૫ના ફેબ્રુઆરીમાં પૂરો થાય છે એથી અમે બિલ્ડરોની સંસ્થાને પત્ર લખી એમને આ પ્રોજેકટ પૂરો કરવામાં રસ છે કે નહીં એ જાણવા પ્રયાસ કરીશું એમ આ અધિકારીએ જણાવ્યું હતું.