ગાયના છાણની ચિપ મોબાઇલ ફોનનું રેડિયેશન ઘટાડે : વલ્લભભાઈ કથિરિયા
વલ્લભભાઈ કથિરિયા
રાષ્ટ્રીય કામધેનુ આયોગના અધ્યક્ષ વલ્લભભાઈ કથિરિયાએ ગઈ કાલે ગાયના છાણની બનેલી ચિપ લૉન્ચ કરતાં જણાવ્યું હતું કે એ ચિપ મોબાઇલ હેન્ડસેટ્સમાં કિરણોત્સર્ગ ઘટાડે છે તેમ જ અનેક રોગોથી બચાવે છે. રાજકોટસ્થિત શ્રીજી ગૌશાળાએ ગૌસત્વ કવચ નામે ઓળખાતી ઉક્ત ચિપ બનાવી છે. ગૌવંશના રક્ષણ, સંવર્ધન, વિકાસ માટે ૨૦૧૯માં રાષ્ટ્રીય કામધેનુ આયોગની સ્થાપના કરવામાં આવી હતી. પશુપાલન, દુગ્ધ અને મત્સ્ય વ્યવસાય મંત્રાલયના નેજા હેઠળ આવતા રાષ્ટ્રીય કામધેનુ આયોગે તહેવારોમાં ગૌમૂત્ર અને ગાયના છાણનાં ઉત્પાદનોને પ્રોત્સાહિત કરવા કામધેનુ દીપાવલી અભિયાન શરૂ કર્યું છે.
ગાયના છાણનાં ઉત્પાદનોને પ્રોત્સાહન માટે શરૂ કરવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી કામધેનુ દીપાવલિ અભિયાનનો આરંભ કરતાં વલ્લભભાઈ કથિરિયાએ જણાવ્યું હતું કે ‘ગાયનું છાણ સૌનું રક્ષણ કરે છે. ગાયનું છાણ કિરણોત્સર્ગનો પ્રતિકાર કરતું હોવાનું વૈજ્ઞાનિક રીતે પુરવાર થયું છે.’