મુંબઈ : બીએમસી રોજ 5300 ટેસ્ટ હાથ ધરે છે, પણ એ પૂરતી નથી
દાદરના રહેવાસીઓના નમૂના લેતા સુધરાઈના હેલ્થ-વર્કર. તસવીર : આશિષ રાજે
શહેરમાં રોજિંદા કોવિડ-19 ટેસ્ટની સંખ્યા જૂનમાં ૪૪૦૦ હતી, એ જુલાઈમાં વધીને ૫૩૦૦ થઈ છે. જોકે ટેસ્ટનો પૉઝિટિવિટી રેટ (ટીપીઆર) ૨૧.૭ ટકા હતો, એ હજી પણ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (હૂ)એ દર્શાવેલા આદર્શ પાંચ ટકાની તુલનામાં ઘણો ઊંચો છે.
અપૂરતી ટેસ્ટિંગની શક્યતાને દૂર કરવા માટે ટેસ્ટ વધારીને ટીપીઆર ઘટાડવો જરૂરી છે, ત્યારે બીએમસી જણાવે છે કે ટેસ્ટની સંખ્યાની દૃષ્ટિએ એ લગભગ પરિપૂર્ણતાના તબક્કે પહોંચી ચૂક્યું છે. ડૉક્ટરો જણાવે છે કે વધુ હાઈ-રિસ્ક કૉન્ટૅક્ટ્સ અને કોવિડ ઉપરાંત અન્ય બીમારી ધરાવનારા લોકોને આવરી લેવા માટે વધુ ને વધુ લૅબને ટેસ્ટ હાથ ધરવાની પરવાનગી આપવી જોઈએ. બીએમસીના એક સિનિયર અધિકારીએ નામ ન જણાવવાની શરતે કહ્યું હતું કે ‘ટેસ્ટની સંખ્યા લગભગ પરિપૂર્ણતાના સ્તરે પહોંચી ચૂકી છે. હવે આ સંખ્યા વધારી શકાય એમ નથી. ટેસ્ટિંગ માટેનાં તમામ દ્વાર હવે ખુલ્લાં છે.’મુંબઈમાં ૧૪ જુલાઈના રોજ ૬૫૭૯ ટેસ્ટ હાથ ધરાઈ હતી, જે અત્યાર સુધીની સૌથી વધુ ટેસ્ટ છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : નવી મુંબઈ અને પનવેલમાં લૉકડાઉન લંબાવાયું છતાં કેસમાં વધારો યથાવત
એમાંથી ૫૨૭૯ (૮૦ ટકા) ટેસ્ટ ખાનગી લૅબમાં થઈ હતી, પરંતુ જુલાઈમાં ટેસ્ટની સરેરાશ સંખ્યા ૫૩૨૬ છે અને ટીપીઆર ૨૧.૭ ટકા છે. એનો અર્થ એ કે ટેસ્ટ કરાયેલા પ્રત્યેક ૧૦૦ લોકોમાંથી ૨૨ વ્યક્તિ પૉઝિટિવ છે. ઊંચો ટીપીઆર અપૂરતી ટેસ્ટિંગ સૂચવે છે. ‘હૂ’ના માપદંડોને સંતોષવા માટે મુંબઈએ ટેસ્ટિંગનું પ્રમાણ પાંચ ગણું વધારવાની જરૂર છે. જોકે બીએમસીએ નાગરિકોને પ્રિસ્ક્રિપ્શન વગર ટેસ્ટ કરાવવાની છૂટ આપી હોવા છતાં આ સંખ્યા વધતી નથી.