મુબંઈ: ગુમ થયેલા કોરોનાના દરદીઓને કારણે પાલિકાની ચિંતામાં વધારો
ધારાવીના રહેવાસીઓના થૂંકનો નમૂનો લેતા ડૉક્ટર તસવીર : પી.ટી.આઇ.
મુંબઈમાં કોવિડ-૧૯ પેશન્ટની સંખ્યા દિવસે-દિવસે વધતી જ જાય છે, જે ચિંતાનો વિષય છે જ, પણ હાલમાં બીએમસી માટે કોરોના વાઇરસ પૉઝિટિવ જાહેર થયેલા પેશન્ટો ગુમ થવા એ વધુ ચિંતાનો વિષય બન્યો છે. પાલિકા આ પેશન્ટોને શોધવા તમામ સંભવ પ્રયાસ કરી રહી છે.
કોવિડ-૧૯નાં સામાન્ય લક્ષણો ન ધરાવતા લોકો ખાનગી લૅબમાં ટેસ્ટિંગ કરાવે એ સર્વસામાન્ય બાબત છે પરંતુ ટેસ્ટિંગ વખતે તેઓ ફોન નંબર કે એડ્રેસ જેવી કૉન્ટેક્ટ ડિટેઇલ્સ પૂરી પાડતાં નથી, તેમ જ લૅબમાં પણ તેમની વિગતો પ્રત્યે વિશેષ ધ્યાન આપવામાં આવતું નથી. પરિણામે તેમનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યા બાદ અમારે તેમની શોધ ચલાવવી પડે છે, અને તેમની ભાળ ન મળવી એ બીએમસી માટે ચિંતાનો મુખ્ય વિષય છે એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
ADVERTISEMENT
૧૧ માર્ચે મુંબઈમાં કોવિડ-૧૯નો પ્રથમ કેસ નોંધાયો હતો અને આજે કેસની નોંધણી ૨૨,૭૦૦ ઉપર પહોંચી છે.
આ પેશન્ટોને શોધવા બીએમસી વોટર્સ લિસ્ટ, પ્રૉપર્ટી લિસ્ટ તપાસવા ઉપરાંત સ્થાનિક પ્રતિનિધિઓની સહાય તથા ખાનગી ટેસ્ટિંગ લૅબના સીસીટીવી કેમૅરાના ફુટેજ દ્વારા પણ શોધ ચલાવી રહી છે. એક વાર આ પેશન્ટો મળી જાય પછી તેમને તેમના સ્વાસ્થ્ય અનુસાર બીએમસીની ક્વૉરન્ટીન કે આઇસોલેશન સુવિધામાં રાખવામાં આવશે. બીએમસીનું માનવું છે કે ગુમ થયેલા મોટાભાગના પેશન્ટો ઝૂંપડપટ્ટી વિસ્તારના હોવા જોઈએ, જેઓ હૉસ્પિટલમાં જવાથી બચવા માટે પૂરી વિગતો આપતા નથી.