કોવિડ-19 અપડેટ: ગુજરાતમાં કોરોનાનો મરણાંક 1000ને પાર
પ્રતીકાત્મક તસવીર
કોરોનાની મહામારી વચ્ચે ભારત સરકારે ગઈ કાલે સાંજે લૉકડાઉનમાં છૂટછાટની જાહેરાત કરી છે ત્યારે ગુજરાતમાં કોરોનાનો કેર જાણે યથાવત્ રહ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાથી ૧૦૦૭ દર્દીઓનાં મૃત્યુ થયાં છે, જેમાંથી એકલા અમદાવાદ શહેરમાં ૮૧૩ દર્દીઓનાં મૃત્યુ થયાં હતાં.
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલી કોરોનાની આંકડાકીય વિગતો મુજબ ગઈ કાલે ગુજરાતમાં કોરોના-પૉઝિટિવના વધુ ૪૧૨ કેસ નોંધાયા હતા અને વધુ ૨૭ દર્દીઓનાં મૃત્યુ થયાં હતાં. બીજી તરફ વધુ ૬૨૧ દર્દીઓ સાજા થતાં તેમને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ ૧૬,૩૫૬ કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં ગઈ કાલે વધુ ૨૭૩ પૉઝિટિવ કેસ નોંધાયા હતા અને ૨૪ દર્દીઓનાં મૃત્યુ થયાં હતાં. આમ અત્યાર સુધીમાં અમદાવાદ શહેરમાં કુલ ૧૧,૬૭૨ પૉઝિટિવ કેસ નોંધાયા છે અને ૮૧૩ દર્દીઓનાં મૃત્યુ થયાં છે.