ડૉક્ટર એ ડૉક્ટર હોય, સરકારી અને પ્રાઇવેટનો ભેદભાવ શા માટે?
ફાઈલ તસવીર
કોવિડ-કવચનો પ્રાઇવેટ ડૉક્ટરોને પણ લાભ મળવો જોઈએ એ સંદર્ભમાં મુંબઈના અલગ-અલગ પ્રાઇવેટ ડૉક્ટરો સાથે ‘મિડ-ડે’એ વાતચીત કરી હતી. આ ડૉક્ટરોનું પણ માનવું છે કે મહારાષ્ટ્ર સરકારના એક જ અવાજ સાથે અમે ડૉક્ટરો કોવિડકાળમાં પણ માનવતા ભૂલ્યા વગર સેવા આપી રહ્યા હતા ત્યારે સરકાર કોવિડ-કવચનો લાભ આપવામાં ભેદભાવ શા માટે રાખે છે. સરકારે મોટું દિલ રાખીને પ્રાઇવેટ ડૉક્ટરોને પણ કોવિડ-કવચનો લાભ આપવો જોઈએ. તેમનું કહેવું છે કે ડૉક્ટર એ ડૉક્ટર હોય છે એમાં સરકારી અને પ્રાઇવેટ એમ ભેદભાવ ન કરવો જોઈએ. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ તરફથી ટૂંક સમયમાં આ મુદ્દે કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઇન્ડિયન મેડિકલ અસોસિએશન પહેલાં ચીફ મિનિસ્ટર ઉદ્ધવ ઠાકરે સાથે મીટિંગ કરશે.
સાંતાક્રુઝના ગુજરાતી ડૉક્ટર પરિવારનો એક્સ્પીરિયન્સ
ADVERTISEMENT
સાંતાક્રુઝ-ઈસ્ટમાં લૉકડાઉનના સમયમાં પણ એક જનરલ પ્રૅક્ટિશનર તરીકે લૉકડાઉનના સમયમાં પણ દવાખાનું ચાલુ રાખીને બધા જ પેશન્ટને સેવા આપી રહેલા ૬૪ વર્ષના ડૉ. રાજેન્દ્ર વોરા મે મહિનામાં કોવિડના સંક્રમણમાં આવી ગયા હતા. તેમનું જૂન મહિનામાં કોકિલાબેન અંબાણી હૉસ્પિટલમાં મૃત્યુ થયું હતું. આ માહિતી આપતાં અત્યારે કોકિલાબેન અંબાણી હૉસ્પિટલમાં ક્રિટિકલ વૉર્ડમાં સેવા આપી રહેલા ૩૬ વર્ષના નીલ વોરાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પપ્પાના મૃત્યુ પછી અમે મહારાષ્ટ્ર રાજ્યના આરોગ્ય વિભાગમાં કોરોના-કવચ અંતર્ગત ૫૦ લાખ રૂપિયાનો મરણોત્તર વીમો આપવાની અરજી કરી હતી, પરંતુ અમને પપ્પાએ કોઈ મ્યુનિસિપલ કે રાજ્ય સરકારની હૉસ્પિટલના કોવિડ વૉર્ડમાં સેવા આપી નથી એમ કહીને વીમો આપવાનો ઇનકાર કરવામાં આવ્યો છે (આ મેઇલ ‘મિડ-ડે’ પાસે છે).