મુંબઈ: કોરોનાને કારણે 10,000 બિલ્ડિંગ્સ મુંબઈમાં સીલ
કોવિડ ટેસ્ટ કરતા બીએમસી ડૉક્ટર
શહેરમાં કોરોના ઇન્ફેક્શનના કેસને કારણે સીલ કરવામાં આવેલાં બિલ્ડિંગ્સની સંખ્યા ૧૦,૦૦૦ને પાર કરી રહી છે. એમાંથી ૩૫૦૦ બિલ્ડિંગ્સ ફક્ત મલાડથી દહિસરના પટ્ટામાં છે. મુંબઈ મહાનગરપાલિકાના આંકડા મુજબ શહેરના કોવિડ-19 ઇન્ફેક્શનના ઍક્ટિવ કેસમાંથી ૨૫ ટકા કેસ ઉત્તર મુંબઈના મલાડથી દહિસરના ભાગમાં નોંધાયા છે.
મુંબઈ મહાનગરપાલિકાએ બિલ્ડિંગ્સ સીલ કરવાના નિયમોમાં સમયાંતરે ફેરફારો કર્યા છે. શરૂઆતમાં એક બિલ્ડિંગમાં કોરોનાનો પૉઝિટિવ કેસ મળે ત્યારે બાજુનાં બિલ્ડિંગ્સ પણ સીલ કરવામાં આવતાં હતાં. ત્યાર પછી જે બિલ્ડિંગમાં કેસ મળે એ જ બિલ્ડિંગને સીલ કરવામાં આવતું હતું. થોડાં અઠવાડિયાં પછીના સુધારામાં બિલ્ડિંગની જે વિન્ગમાં કેસ મળે એ જ વિન્ગને સીલ કરવામાં આવતી હતી. ત્યાર બાદ જે માળ પરના ફ્લૅટમાં કેસ મળે એ માળ ઉપરાંત એની ઉપરના અને નીચેના માળને પણ સીલ કરવામાં આવતા હતા. હવે ફક્ત જે માળ પર કેસ મળે એ જ માળને સીલ કરવામાં આવે છે.
મહાનગરપાલિકાનાં સૂત્રોએ જણાવ્યા મુજબ કોરોના ઇન્ફેક્શનના કુલ કેસમાં ૮૦ ટકા બિલ્ડિંગ્સમાં છે. એમાં મોટા ભાગના ઍસિમ્પ્ટૉમેટિક છે. તેમ છતાં, રોગચાળો ફેલાતો રોકવા માટે આખું બિલ્ડિંગ સીલ કરવામાં આવે છે. મુંબઈના ૨૭,૦૦૦ ઍક્ટિવ કેસમાંથી ૬૫૦૦ મલાડથી દહિસરમાં છે. અંધેરી-વિલે પાર્લે અને દાદર-માહિમ ક્ષેત્રોમાં પણ આંકડો નોંધપાત્ર પ્રમાણમાં વધારે છે.