કોરોનાના નવા કેસનો આંક સતત વધી રહ્યો છે
પ્રતીકાત્મક તસવીર
સમગ્ર દેશમાં શનિવારે અનલૉક-૩ના ૮મા દિવસે એક જ દિવસમાં સૌથી હાઇએસ્ટ ૬૫,૦૦૦ કરતાં વધારે કેસો સામે આવ્યા હતા અને વધુ ૮૭૫નાં મોત થયાં હતાં. આરોગ્ય મંત્રાલય દ્વારા ગઈ કાલે રવિવારે સવારે છેલ્લા ૨૪ કલાકના કેસના આંકડા જાહેર કરાયા ત્યારે એક દિવસમાં ૬૫,૧૫૬ કેસ નોંધાયા હતા. એ સાથે કુલ કેસની સંખ્યા ૨૧,૫૨,૦૨૦ પર પહોંચી ગઈ હતી. આ જ સમયગાળામાં વધુ ૮૭૫નાં મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને ૪૩,૪૫૩ પર પહોંચી ગયો છે. આ જ સમયગાળામાં ૫૨,૦૦૦ કરતાં વધારે લોકો સાજા પણ થયા હતા અને કુલ સાજા થયેલી સંખ્યા ૧૪,૭૯,૮૦૪ પર પહોંચી છે. અનલૉક-૩મા જિમ-યોગા વગેરેને ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. જોકે સ્કૂલ વગેરે હજી ૩૧ ઑગસ્ટ સુધી બંધ છે. મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં રેકૉર્ડ ૧૨,૮૨૨ કેસ નોંધાયા, તો ૧૦૮૦ નવા કેસ સાથે આંધ્ર પ્રદેશ બીજા નંબરે છે. કેન્દ્રીય કૃષિ રાજ્યપ્રધાન કૈલાશ ચૌધરી અને કેન્દ્રીય પ્રધાન અર્જુન મેઘવાલનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. બન્નેએ ટ્વીટ કરીને આ સમાચાર આપ્યા છે.
દેશમાં ૨૪ કલાકમાં રેકૉર્ડ ૬૫,૧૫૬ દરદી નોંધાયા અને ૫૨,૧૩૫ દરદી સાજા થયા છે. ગુજરાત, કેરળ, ત્રિપુરા, હિમાચલ પ્રદેશ, નાગાલૅન્ડ, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં છેલ્લા ૨૪ કલાકમાં જેટલા નવા કેસ આવ્યા, એનાથી વધુ દરદી સાજા થયા છે.