BCG વેક્સિનની ટ્રાયલ માટે મુંબઈમાં સ્વયંસેવકો શોધી રહી છે KEM હૉસ્પિટલ
તમામ સ્વયંસેવકને રસીનો એક ડૉઝ આપવામાં આવશે, પછી છ મહિના સુધી એમની ચકાસણી કરાશે
ઑક્સફર્ડ વેક્સિનની ટ્રાયલ માટે લોકો રાહ જોઈ રહ્યા છે ત્યારે કેઈએમ હૉસ્પિટલે કોરોના ઇન્ફેક્શન સામે લડત માટે બીસીજી રિપર્પઝ વેક્સિનની ટ્રાયલ-ટેસ્ટિંગ માટે દક્ષિણ મુંબઈમાં ‘સ્વયંસેવકો’ની શોધ શરૂ કરી છે. રિપર્પઝ વેક્સિનની અસરકારકતા તપાસવા માટે કેઈએમ હૉસ્પિટલના ડૉક્ટરોને હાઈ પૉઝિટિવિટી એરિયામાં ૬૦ વર્ષથી વધારે ઉંમરના ‘સ્વયંસેવકો’ની આવશ્યકતા છે. સિનિયર સિટિઝન્સમાં એ વેક્સિનની અસરકારકતા તપાસવાના ઉદ્દેશથી આ ટ્રાયલ-ટેસ્ટિંગ હાથ ધરવામાં આવી રહી છે. કારણ કે કોરોના ઇન્ફેક્શનના દરદીઓમાં ૬૦ વર્ષથી વધારે ઉંમરના દરદીઓનાં મૃત્યુનું પ્રમાણ વધારે છે.
૨૧ ઑગસ્ટથી શરૂ કરવામાં આવેલા ટ્રાયલના ભાગરૂપે અત્યાર સુધીમાં ૨૪ ‘સ્વયંસેવકો’ને ડૉઝ અપાયા છે. ઇન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રીસર્ચ(ICMR)ની ટ્રાયલ્સના ભાગ રૂપે મુંબઈમાં ૨૫૦ જણને એનો ડૉઝ આપવામાં આવશે. ૧૦ મહિનાના ટ્રાયલના ભાગરૂપે જેમને રસીનો ડૉઝ અપાયો હશે, એમનું છ મહિના સુધી મોનિટરિંગ કરવામાં આવશે. નોન સ્પેસિફિક ઇમ્યુનિટી માટે બીસીજી રસી આપવામાં આવે છે. ભારતમાં બાળકોને જન્મ પછી શક્ય એટલી વહેલી તકે આ રસી આપવામાં આવે છે.