અનલૉક અસફળ: 24 કલાકમાં કોરોનાના અધધધ...17,000 કેસ
પ્રતીકાત્મક તસવીર
સમગ્ર દેશમાં અનલૉક-2.0ની તૈયારીઓ ચાલી રહી છે અને એમાં વધુ છૂટછાટ આપવાની શક્યતા વચ્ચે કોરોનારૂપી એક્સપ્રેસ થંભવાનું નામ ન લેતી હોય એમ સતત વધતા કેસમાં એક જ દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસનો એક નવો રેકૉર્ડ નોંધાયો છે. આજે ગુરુવારે સવારે જાહેર કરાયેલા આંકડા પ્રમાણે ભારતમાં ૧૭,૦૦૦ કરતાં વધુ કેસ એક દિવસમાં નોંધાયા છે. પાછલા એક દિવસમાં નોંધાયેલા કેસનો રેકૉર્ડ ૧૫,૬૮૯ હતો જેમાં વધુ ૧૫૦૦ કેસ સાથે હવે નવો રેકૉર્ડ નોંધાયો છે. તેની સાથે ગઈ કાલે બુધવારે સતત બીજા દિવસે ૪૦૦થી વધારે એટલે કે ૪૨૨ લોકોનાં મોત પણ નોંધાયાં છે. આ સાથે એક દિવસમાં નોંધાયેલા નવા કેસનો આંકડો ૧૭,૧૫૬ થયો છે. ભારતમાં કોરોના વાઇરસના કુલ કેસનો આંકડો વધીને ૪.૭૩ લાખ એટલે કે પોણાપાંચ લાખની નજીક પહોંચી ગયો છે. ચાર દિવસ પહેલાં દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો ૪ લાખ હતો અને વાઇરસના કારણે થયેલા કુલ મૃત્યુઆંક ૧૪,૮૯૬ થયો છે. દરમ્યાનમાં મધ્ય પ્રદેશમાં શિવરાજ સરકારે એક જુલાઈથી રાજ્યમાં ‘કીલ કોરોના’ અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી છે.
મહારાષ્ટ્રમાં બીજા નંબરના સૌથી વધુ કેસ અને ૨૦૮નાં મોત નોંધાયાં છે. મહારાષ્ટ્રમાં એક દિવસમાં નોંધાયેલા મોત ભારતમાં નોંધાયેલા કુલ આંકડાનો અડધા ભાગ જેટલો થાય છે. દિલ્હીમાં વધુ ૬૪નાં મોત થયાં, જ્યારે તામિલનાડુ ૩૩ અને ગુજરાતમાં ૨૫નાં મોત નોંધાયાં છે.